સમગ્ર જામનગર જીલ્લામાં તેમજ પોલીસ તંત્ર માટે પણ પડકાર જનક ચકચાર ભર્યા કનસુમરા ગ્રામ સમસ્ત સાર્વજનીક ટ્રસ્ટમાં ધરપકડ કરાયેલ ટ્રસ્ટીઓ પૈકી વલીમામદ દોસમામદ ખીરા તેમજ અકરમ સલીમભાઈ ખીરા નામના ટ્રસ્ટીઓને જામનગરની સેશન્સ કોર્ટ દ્વારા રૂપિયા પચાસ-પચાસ હજારના જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ છે.
સમગ્ર જામનગર જીલ્લામાં ચકચાર બનેલ ટ્રસ્ટના રૂપીયા સતર કરોડ જેટલી નાણાંકીય ઉચાપતના કેસની વિગત એવી છે કે કનસુમરા ગ્રામ પંચાયતની હદમાં આવેલ અવેડીયા તરીકે ઓળખાતી ગ્રામ પંચાયતની માલીકીની જમીનનું જી.આઈ.ડી.સી. માં સંપાદન થતા અંદાજે રૂપિયા વીસ થી બાવીસ કરોડ જમીનના વળતર પેટે ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા થયેલ હતા અને આ રકમનો ઉપયોગ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ કનસુમરા ગામમાં પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, ગાયો તથા અન્ય પશુ-પક્ષઓના આરોગ્ય, સંવર્ધન તથા ધાસચારા જેવા ગામ સમસ્તની સુખાકારી, ઉત્કર્ષના હેતું માટે વાપરવાના હતા પરંતુ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પોતાના હોદ્દાનો દુર-ઉપયોગ કરી અને ટ્રસ્ટીની જોગવાઈઓનો ગેરલાભ લઈ ટ્રસ્ટમાં ઠરાવો કરી આશરે સોળ થી સત૨ કરોડ જેટલી રકમના દાન ચેકથી અન્ય ટ્રસ્ટો તેમજ એન.જી.ઓ. માં ટ્રન્સફર કરી અને તેવા ટ્રસ્ટોને કમીશન આપી બાકીની રકમ રોકડમાં ટ્રસ્ટીઓએ પરત મેળવી અને પોતાના અંગત આર્થીક ફાયદા માટે વાપરી નાખેલ હતી અને આ બાબતેની ફરીયાદ કનસુમરાના ગ્રામજન કાસમ દોષમામદ ખીરાએ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ સામે નોંધાવેલ હતી અને પોલીસએ તમામ ટ્રસ્ટીઓ સામે જંગી રકમની નાણાંકીય ઉચાપતની ફરીયાદ નોંધી ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓની તેમજ નાણાંકીય ઉચાપતના વ્યવહારમાં મદદરૂપ થનાર આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતા.
આ કામમાં પોલીસએ ધરપકડ કરેલ ટ્રસ્ટીઓ પૈકી ટ્રસ્ટી અકરમ સલીમભાઈ ખીરા તેમજ વલીમામદ ઉર્ફે વલીયો દોસમામદ ખીરા રહેવાસી બંન્ને કનસુમરા વાળાએ જીલ્લા જેલ માંથી પોતાના વકીલ તરીકે જાણીતા ધારાશાસ્ત્રીને રોકીને જામનગરની સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી અને જામીન અરજીનો વિરોધ કરવા તપાસ કરનાર અમલદાર પી.પી.ઝા પોલીસ ઈન્સપેકટર સીટી-બી ડીવીઝન દ્વારા ખુબ જ લંબાણ પૂર્વકનું સોગંદનામું રજુ કરેલ હતું.
અરજદાર તરફે હાજર થયેલ વકીલએ ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રિમકોર્ટના જામીન અરજીને લગત જુદા-જુદા ચુકાદાઓ રજુ કરી લંબાણ પૂર્વકની દલીલ કરતા જણાવેલ કે, ’ટ્રસ્ટીઓએ ટ્રસ્ટના બંધારણ મુજબ મળેલ સતાનો ઉપયોગ કરેલ છે અને જે નાણાંની ઉચાપત થાયાનો આક્ષેપ છે તેવા કોઈ નાણાં અરજદારોને મળેલાનું પોલીસ તપાસમાં ખુલેલ નથી કે આરોપીઓ પાસેથી કોઈ ડિસ્કવરી કે રિકવરી થયેલ નથી અને પોલીસ તપાસ પણ પૂર્ણ થઈ ગયેલ છે ત્યારે નામદાર સુપ્રિમકોર્ટ ઘ્વારા જામીનના નિર્ણયમાં પ્રસ્થાપિત કરેલ ચુકાદા મુજબ કેસ ચાલતા સુધી આરોપી નિર્દોષ છે ત્યારે પ્રિ-ટ્રયલ પનિશમેન્ટ સ્વરૂપે લાંબો સમય જેલમાં રાખીને બંધારણ ધ્વારા પ્રાપ્ત થયેલ વ્યક્તિગત સ્વતંત્રતાનાં અધિકારો છીનવી શકાય નહી. આ તમામ દલીલો ધ્યાને લઈ બન્ને આરોપીઓને કોર્ટએ રૂપિયા પચાસ-પચાસ હજારના જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે.
કનસુમરા ગ્રામ સમસ્ત સાર્વજનીક ટ્રસ્ટના ટ્રસ્ટીઓ એવા અરજદાર/આરોપીઓ તરફે પૂર્વ જીલ્લા સરકારી વકીલ દિનેશભાઈ વિરાણી, જયદીપ કે. મોલીયા, સિધ્ધાર્થ એસ.સાપરીયા તેમજ ટ્રેની દર્શનપુરી એ. ગોસ્વામી રોકાયેલા હતા.