ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વહીવટી તંત્રમાં એક મહત્વનો ફેરફાર કરતા બે સિનિયર આઈએએસ (IAS) અધિકારીઓની બદલી અને નિમણૂકના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. સરકાર વતી અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્માની સહીથી ૧૭ જૂન, ૨૦૨૬ના રોજ જાહેર કરાયેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ આ ફેરફાર તાત્કાલિક અસરથી અમલી બનશે.
રૂપવંત સિંહ બન્યા સ્ટેટ ટેક્સના ચીફ કમિશનર
વર્ષ ૨૦૦૩ની બેચના સિનિયર આઈએએસ અધિકારી રૂપવંત સિંહ, જેઓ હાલમાં અમદાવાદ ખાતે 'ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ' (GMDC)ના મેનેજિંગ ડિરેક્ટર (MD) તરીકે કાર્યરત હતા, તેમની બદલી કરવામાં આવી છે. તેમને હવે અમદાવાદ ખાતે જ 'સ્ટેટ ટેક્સ' (રાજ્ય વેરા)ના ચીફ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની આ નિમણૂકથી આઈએએસ ડૉ. ટી. નટરાજન આ પોસ્ટના વધારાના ચાર્જમાંથી મુક્ત થશે. વધુમાં, સરકાર દ્વારા આગામી આદેશો ન થાય ત્યાં સુધી શ્રી રૂપવંત સિંહને જીએમડીસી (GMDC) ના મેનેજિંગ ડિરેક્ટર તરીકેનો વધારાનો ચાર્જ પણ પોતાની પાસે જ રાખવા જણાવાયું છે.
આલોક કુમાર પાંડેને ટ્રાઇબલ ડેવલપમેન્ટ વિભાગની કમાન
આ જ નોટિફિકેશન અનુસાર, અન્ય એક મહત્વના ફેરફારમાં વર્ષ ૨૦૦૬ની બેચના આઈએએસ અધિકારી આલોક કુમાર પાંડેની પણ બદલી કરવામાં આવી છે. તેઓ સચિવાલય, ગાંધીનગર ખાતે મહેસૂલ વિભાગમાં 'કમિશનર ઓફ રિલીફ' (રાહત કમિશનર) અને પદની રૂએ સરકારના સચિવ તરીકે સેવા આપી રહ્યા હતા. તેમની બદલી કરીને હવે સચિવાલય ખાતે 'ટ્રાઇબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ' (આદિજાતિ વિકાસ વિભાગ) ના સચિવ તરીકે મૂકવામાં આવ્યા છે. તેમની આ નિમણૂક સાથે જ શ્રીમતી શાહમીના હુસૈન (IAS) આ પદના વધારાના ચાર્જમાંથી મુક્ત થશે.