BREAKING NEWS

દ્વારકામાં ૮ લાખના દાગીનાની છેતરપિંડીમાં મદારી ગેંગના બે સાગરીત પકડાયા

  • December 29, 2025 05:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દ્વારકાના અંતરિયાળ વિસ્તારમાં રાજકોટના એક સદગૃહસ્થ પરિવારને ધાર્મિક વિધિ તેમજ પ્રભુ પ્રકોપના નામે અંધવિશ્વાસમાં લઈ અને રૂ. ૮ લાખ જેટલી કિંમતના દાગીના મેળવી લઈ, ચિટિંગ કરનારા રાજકોટ અને મોરબીના રહીશ એવા મદારી ગેંગના બે શખ્સોને એલસીબી પોલીસે ઝડપી લીધા હતા.


આ ચકચારી પ્રકરણની પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ રાજકોટમાં રહેતા નિર્મલભાઈ નામના એક યુવાનને સોનાની વિધિ કરાવીને રિદ્ધિ - સિદ્ધિ મળશે અને નડતર દૂર થશે તેવા વિશ્વાસમાં ભોળવીને કથિત સાધુ જેવા શખ્સોએ ફોન કરીને દ્વારકાથી આશરે ૧૦ કિલોમીટર દૂર નાગેશ્વર રોડ ઉપર ધ્રાસણવેલ ગામે બોલાવ્યા હતા. જ્યાં આરોપીઓએ યેનકેન પ્રકારે ડરાવીને તેઓને વિશ્વાસમાં લઈ, આ દંપતિ પરિવારના જુદા જુદા પ્રકારના આશરે ૮ લાખ રૂપિયા જેટલી કિંમતના દાગીના મેળવી લીધા હતા. ત્યાર બાદ આ દાગીના તેઓ શુદ્ધ કરીને તેઓને પરત આપશે તેમ કહી, બાદમાં આરોપીઓએ આ દાગીનાનું ચીટીંગ કરી નાખતા આ સમગ્ર બનાવ દ્વારકા પોલીસમાં નોંધાયો હતો.


જેને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ અહીંની એલસીબી પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સિસની મદદથી વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ તપાસ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. જેસલસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, અને લાખાભાઈ પિંડારિયાને મળેલી બાતમીના આધારે દ્વારકા ચરકલા રોડ પર રેલવેના નાલા પાસેથી મોરબી તાલુકાના મકનસર ગામના જાનનાથ સુરમનાથ પઢિયાર નામના મદારી શખ્સ સાથે રાજકોટ તાલુકાના પારેવાડા ગામના નેનુનાથ પોપટનાથ બામણીયા નામના બે શખ્સોને ઝડપી લીધા હતા.


આ બંનેની પોલીસ દ્વારા આગવી ઢબે પૂછપરછ કરવામાં આવતા તેઓએ ઉપરોક્ત ચીટીંગના ગુનાની કબુલાત આપી હતી. ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે ચીટીંગ કરીને મેળવેલા સોનાના જુદા જુદા ત્રણ ચેન, ચાર વીટી ઉપરાંત રૂ. એક લાખની કિંમતની મોટરકાર અને રૂ. ૫,૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૯,૩૨,૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ અર્થે આરોપીઓનો કબજો દ્વારકા પોલીસને સોંપવામાં આવ્યો છે.


આ ચીટર એવી મદારી ગેંગના સભ્યો દ્વારા કોઈ અંધશ્રદ્ધાળુ ભગત માણસોને ધાર્મિક વિધિના ઝાસામાં ફસાવીને તેઓની સાથે તેમના ઘરમાં રહેતી રોજિંદી પ્રકારની નાની-મોટી મુશ્કેલીઓ તેમજ ભગવાનની અવકૃપાથી રહેતા નડતરને દૂર કરી આપવાના આંધળા વિશ્વાસમાં લઈ અને યુક્તિ-પ્રયુક્તિથી લોકોને વાતોમાં ફસાવી, અને સોનાના દાગીનાની તાંત્રિક વિધિ કરવાની આડમાં અવાવરૂ જગ્યાએ સોનાના દાગીના સાથે બોલાવી બોલાવવામાં આવતા હતા. આ સ્થળ પર ગેંગના એક સભ્ય દ્વારા તરફડીયા મારવા તેમજ મોઢામાં કંકુ રાખીને લોહી કાઢી, જીવલેણ પ્રકારનું ખોટું નાટક કરવામાં આવતું હતું. આ પ્રકારે નિર્દોષ ભક્ત લોકોને બીવડાવી અને તેઓ પાસે રહેલા સોનાના દાગીના મેળવીને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું ખુલવા પામ્યું છે. 


આ પ્રકરણમાં ઝડપાયેલા આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગે અમરેલી અને જુનાગઢ ઉપરાંત મોરબીમાં પણ એક ગુનો નોંધાયો હોવાનું જાહેર થયું છે. કોઈપણ માણસ હાલ મુશ્કેલી અને સમસ્યાથી પર નથી. ત્યારે વર્તમાન સમયમાં નાની-મોટી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ પ્રકારના ઢોંગી બાવાઓના વેશમાં ફરતી ઠગ ટોળકીના સંપર્કમાં નહીં આવવા તેમજ ખોટી અંધશ્રદ્ધા અને લાલચમાં ન ફસાવવા અને જો કોઈ વ્યક્તિ આ પ્રકારે ભોગ બને તો તાત્કાલિક નજીકના પોલીસમાં સંપર્ક કરવા પોલીસ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
​​​​​​​

આ કાર્યવાહી એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયા, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા, એ.એસ.આઈ. જેસલસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, ગોવિંદભાઈ, કુલદીપસિંહ, લાખાભાઈ, મુકેશભાઈ, પ્રકાશભાઈ, હસમુખભાઈ અને વિશ્વદિપસિંહ દ્વારા કરવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application