BREAKING NEWS

જુનાગઢ સક્કરબાગમાં વાઘની પજવણી કરનાર બે શખ્સ પડધરીના નીકળ્યા, બંનેની ધરપકડ, શરમજનક વીડિયો વાયરલ થયો'તો

  • July 14, 2026 05:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીઓ દ્વારા અબોલ વન્યજીવને હેરાન કરવાનો એક અત્યંત આઘાતજનક અને નીંદનીય કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં ફરવા આવેલા રાજકોટના બે પ્રવાસીઓએ પાંજરામાં રહેલા વાઘના મોઢા પર ગમછો (કપડું) નાખીને તેની ગંભીર પજવણી કરી હતી. આ શરમજનક કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ વન્યજીવ પ્રેમીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને વન વિભાગ તુરંત હરકતમાં આવ્યું હતું અને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને શોધી કાઢી તેમની અટકાયત કરી લીધી હતી.


આ ગુનાહિત કૃત્ય આચર્યા બાદ ઝડપાયેલા બંને પ્રવાસીઓને વન વિભાગ દ્વારા કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો હતો. વન વિભાગે બંને આરોપીઓને સક્કરબાગ ઝૂમાં વાઘના પાંજરાની સામે જ ઉભા રાખીને જાહેરમાં હાથ જોડીને માફી મગાવી હતી. બંને શખ્સોએ ભારે પસ્તાવો વ્યક્ત કરતા પોતાની ભૂલ સ્વીકારી હતી કે તેમનાથી વાઘ પર કપડું નાખીને હેરાન કરવાનું મોટું નુકસાનકારક કૃત્ય થઈ ગયું હતું. આ સાથે જ આરોપીઓએ અન્ય પ્રવાસીઓને પણ અપીલ કરી હતી કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત વખતે કોઈપણ વન્યજીવને ખોટી રીતે હેરાન કરવા જોઈએ નહીં કે પ્રતિબંધિત ખાવાનું આપવું જોઈએ નહીં.


સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના વન વિભાગના ડીસીએફ (DCF) રાજદીપસિંહ ઝાલાના જણાવ્યા અનુસાર, ૧૩ જુલાઈના રોજ સોશિયલ મીડિયાના માધ્યમથી વન વિભાગને આ વીડિયો પ્રાપ્ત થયો હતો. પ્રાથમિક તપાસમાં માલૂમ પડ્યું હતું કે આ ઘટના ૧૨ જુલાઈના રોજ રવિવારની રજા દરમિયાન સક્કરબાગ ઝૂની અંદર જ બની હતી. વન વિભાગે તુરંત જ ઝૂ પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી હતી. આરોપીઓને ઝડપી પાડવા માટે વન વિભાગે પોલીસની ‘નેત્રમ’ શાખા (CCTV સર્વેલન્સ)ની સક્રિય મદદ લીધી હતી અને ટેકનિકલ સોર્સના આધારે બંને તોહમતદારોને ટ્રેક કરીને કાયદાના સિકંજામાં લીધા હતા.


આ પજવણીના કેસમાં પકડાયેલા આરોપીઓની ઓળખ ૪૩ વર્ષીય શિરોડીયા દેવાભાઈ નાગજીભાઈ અને ૩૫ વર્ષીય શિરોડીયા બાબુલાલ ભીમાભાઈ તરીકે થઈ છે. આ બંને આરોપીઓ રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બોડી ઘોડી ગામના વતની છે. તેઓ ૧૨ જુલાઈના રોજ પ્રવાસી તરીકે સક્કરબાગ ઝૂની મુલાકાતે આવ્યા હતા અને તે દરમિયાન રમત-રમતમાં કાયદાનું ઉલ્લંઘન કરીને સુરક્ષિત પાંજરામાં રહેલા રાષ્ટ્રીય પ્રાણી વાઘની પજવણી કરવાનું ગંભીર કૃત્ય આચર્યું હતું, જે સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ કેદ થયું હતું.


આ સમગ્ર ગુનાનો ગણતરીના કલાકોમાં પર્દાફાશ કરવા માટે સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયના વન વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની આખી ટીમે પ્રશંસનીય અને ઝડપી કામગીરી કરી હતી. વન વિભાગ દ્વારા ૧૩ જુલાઈના રોજ જ આ બંને આરોપીઓની સત્તાવાર અટકાયત કરી લેવામાં આવી હતી. આ બંને શખ્સો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ – ૧૯૭૨ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વન વિભાગે આગળની તમામ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગની આ ત્વરિત કાર્યવાહીથી વન્યજીવોને પજવતા અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application