BREAKING NEWS

સુરતમાં વરસાદનો કહેરઃ વીજળી પડતા બે યુવાનોના મોત; બે કલાકમાં ચાર ઈંચથી વધુ વરસાદ

  • July 06, 2026 06:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત અને અમરેલી જિલ્લામાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સુરત શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે માત્ર બે કલાકમાં જ ચાર ઈંચથી વધુ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ આકાશી આફતના કારણે સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું છે અને અઠવાલાઇન્સ, કતારગામ, વરાછા, અડાજણ તેમજ મહિધરપુરા જેવા અનેક પોશ અને વ્યસ્ત વિસ્તારો જળબંબોળ બન્યા છે. સુરતમાં કુદરતનો કહેર એટલી હદે જોવા મળ્યો કે વીજળી પડવાના કારણે બે નિર્દોષ યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેનાથી સ્થાનિક લોકોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.


શહેરના મુખ્ય માર્ગો નદી કે તળાવમાં ફેરવાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોની મુશ્કેલીઓમાં અસાધારણ વધારો થયો છે. કતારગામના રાશિ સર્કલ પાસે તો આખેઆખી બાઈકો ડૂબી જાય તેટલા પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત, સુરતના હૃદય સમાન ગણાતા મહિધરપુરા વિસ્તારમાં ગલે મંડી ચાર રસ્તા, ગલે મંડી શેરી અને મોટી શેરી સહિતના મુખ્ય રસ્તાઓ પર ઘૂંટણથી લઈને કમર સુધીના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠીને આ પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે.


બીજી તરફ, સુરત રેલ્વે સ્ટેશનની સ્થિતિ પણ અત્યંત દયનીય બની ગઈ છે. રેલ્વે સ્ટેશનનું સમગ્ર પરિસર, બહારનો મુખ્ય રોડ અને અંદરનો વેટિંગ એરિયા ગોઠણસમા પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પ્લેટફોર્મ અને વેટિંગ રૂમમાં પાણી ભરાઈ જવાને કારણે બહારગામથી આવતા અને જતા હજારો મુસાફરો ભારે પરેશાનીમાં મુકાયા છે. રેલ્વે સ્ટેશન પાસે આવેલું પોદાર આર્કેટ પણ ચારેય તરફથી પાણીથી ઘેરાઈ જવાને કારણે સંપૂર્ણપણે બંધ કરવાની ફરજ પડી છે.


માત્ર સુરત જ નહીં, સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદે ભારે તારાજી સર્જી છે. ધારીમાં આવેલા ખોડિયાર ડેમમાં પાણીની વિપુલ આવક થતાં તેના ૯ દરવાજા ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી પાણી છોડાતા જ સરંભડા ગામની નદીમાં અચાનક પૂરનો ધસમસતો પ્રવાહ આવી પહોંચ્યો હતો. ગઈકાલે રાત્રે આશરે ૮ વાગ્યાની આસપાસ નદીના પટમાં હાજર શરદભાઈ મગનભાઈ કાછડીયા નામના એક યુવક પાણીના આ તેજ વહેણમાં તણાયા હતા. આ ગંભીર દુર્ઘટના બાદ સ્થાનિક તંત્ર અને ગ્રામજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી, જેના પગલે આજે સવારે ૯ વાગ્યે નદીના પટમાંથી શરદભાઈનો મૃતદેહ મળી આવ્યો હતો. આમ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘતાંડવના કારણે કુલ ત્રણ લોકોના કરૂણ મોત નીપજ્યા છે અને કરોડો રૂપિયાનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તંત્ર દ્વારા પ્રભાવિત વિસ્તારોમાં પાણીના નિકાલ અને રાહત કામગીરી માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application