કેન્દ્રીય મંત્રી અને ભાજપના સાંસદ શાંતનુ ઠાકુરે ગઈકાલે દાવો કર્યો હતો કે ચૂંટણી પંચની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) પ્રક્રિયા હેઠળ પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાંથી આશરે 1.2 કરોડ ગેરકાયદેસર મતદારો દૂર કરી શકાય છે. જોકે, તેમના નિવેદનથી રાજકીય હોબાળો મચી ગયો છે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)એ ચેતવણી આપી છે કે આ પગલાથી મટુઆ શરણાર્થી સમુદાય સૌથી વધુ પ્રભાવિત થશે.
ઉત્તર 24 પરગણા જિલ્લાના ગૈઘાટામાં વિજય સંમેલનમાં બોલતા શાંતનુ ઠાકુરે કહ્યું કે એસઆઈઆર મતદાર યાદીઓને પારદર્શક બનાવશે. તેમજ રોહિંગ્યા, ઘૂસણખોરો અને નકલી મતદારોને દૂર કરશે. શાંતનુ ઠાકુર, જે પોતે મટુઆ સમુદાયના અગ્રણી નેતા છે, તેમણે કહ્યું, જો એસઆઈઆર યોગ્ય રીતે લાગુ કરવામાં આવે તો ટીએમસી સરકાર પાસે કોઈ રસ્તો નહીં રહે. ઓછામાં ઓછા દસ મિલિયનથી બાર મિલિયન લોકો જે ગેરકાયદેસર રીતે મતદાર યાદીમાં સામેલ છે તેમને દૂર કરવામાં આવશે. રોહિંગ્યા, ઘૂસણખોરો અને નકલી મતદારો હવે મતદાન કરી શકશે નહીં.
તેમણે કહ્યું કે ફક્ત સ્વચ્છ મતદાર યાદી જ બંગાળમાં વાસ્તવિક પરિવર્તનનો માર્ગ મોકળો કરશે. મંત્રીએ કહ્યું, જેઓ ખરેખર પરિવર્તન ઇચ્છે છે, જેઓ રાજ્યમાં ઉદ્યોગ, શિક્ષણ અને સારી આરોગ્યસંભાળ ઇચ્છે છે, તેઓ જ મતદાન કરશે. તેમના કારણે ભાજપ સરકાર બનાવશે.
બાદમાં પત્રકારો સાથે વાત કરતા ઠાકુરે કહ્યું કે, સુધારેલી મતદાર યાદી પારદર્શિતા લાવશે અને સ્પષ્ટ કરશે કે કેટલા રોહિંગ્યા, બાંગ્લાદેશી અને નકલી મતદારોને દૂર કરવામાં આવ્યા છે અને કેટલા શરણાર્થીઓને અસર થઈ છે. શરણાર્થીઓને બાંગ્લાદેશ મોકલવામાં આવશે નહીં. નાગરિકતા પ્રાપ્ત કર્યા પછી તેઓ ફરીથી માન્ય મતદારો બનશે.
તૃણમૂલ કોંગ્રેસના ડરને ફગાવતા ચૂંટણીપંચે ગઈકાલે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં ખાસ સઘન સુધારણા દરમિયાન કોઈપણ માન્ય મતદારનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે નહીં. પૂર્વ મેદિનીપુર જિલ્લાના કોલાઘાટમાં યોજાયેલી મતદાર યાદી સુધારણા અંગે ઉચ્ચ સ્તરીય બેઠક બાદ મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ કુમાર અગ્રવાલે આ નિવેદન આપ્યું હતું. બેઠકમાં, ડેપ્યુટી ઇલેક્શન કમિશનર જ્ઞાનેશ ભારતી સહિત ચાર સભ્યોના કેન્દ્રીય પ્રતિનિધિમંડળે એસઆઈઆર માટેની તૈયારીઓની સમીક્ષા કરી.
અગ્રવાલે કહ્યું, કોઈપણ માન્ય મતદારનું નામ યાદીમાંથી બાકાત રાખવામાં આવશે નહીં. કાયદો જે કહેશે તેનું પાલન કરવામાં આવશે. જે લોકોના નામ 2002ના એસઆઈઆરમાં સામેલ હતા અને જેઓ સરકારી અધિકારીઓ છે તેમને કોઈપણ દસ્તાવેજો રજૂ કરવાની જરૂર રહેશે નહીં.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો કે વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થાય તે પહેલાં જ ચૂંટણી પંચના અધિકારીઓ તેમના સરકારી અધિકારીઓને ધમકી આપી રહ્યા હતા અને રાજકીય પ્રભાવ હેઠળ કામ કરી રહ્યા હતા. બેનર્જીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પર મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ના નામે આગ સાથે રમવાનો આરોપ લગાવ્યો અને ચેતવણી આપી કે મતદાર યાદી સાથે છેડછાડ કરવાનો કોઈપણ પ્રયાસ લોકશાહી સાથે વિશ્વાસઘાત હશે.
ટીએમસી સાંસદ અને માતુઆ નેતા મમતા બાલા ઠાકુર, જે શાંતનુ ઠાકુરના કાકી પણ છે, તેમણે ભાજપ સાંસદના નિવેદનોનો તીખો જવાબ આપ્યો. તેમણે કહ્યું, એસઆઈઆર મટુઆ શરણાર્થીઓને સૌથી વધુ નુકસાન પહોંચાડશે. જે લોકોએ ભાજપને મત આપ્યો છે તેમના નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવશે. ટીએમસીને કોઈ નુકસાન થશે નહીં પણ અમારી બેઠકો વધશે.
મમતા બાલા ઠાકુરે ભાજપ નેતૃત્વ પર મતદારો અને શરણાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું, ભાજપ નેતૃત્વ અને ગૃહમંત્રીએ પહેલા નક્કી કરવું જોઈએ કે તેઓ ખરેખર શું ઇચ્છે છે. તેમણે લોકોને ખાસ કરીને શરણાર્થીઓને સંપૂર્ણપણે મૂંઝવણમાં મૂકી દીધા છે.
એસઆઈઆરના બહાને મત કાપવાનું કાવતરુંઃ મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળ સચિવાલયમાં એક પત્રકાર પરિષદ દરમિયાન, બેનર્જીએ કહ્યું, ચૂંટણી પંચ રાજ્ય સરકારના અધિકારીઓને ધમકી આપી રહ્યું છે. અમે આ સહન કરીશું નહીં. તૃણમૂલ કોંગ્રેસના વડાએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે રાજ્યની મુલાકાત લેતા ચૂંટણી પંચના અધિકારીઓ સરકારી અધિકારીઓને કેવી રીતે બોલાવી શકે છે જ્યારે ચૂંટણીની તારીખો હજુ સુધી જાહેર થઈ નથી. રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. રાજ્યમાં એસઆઈઆર પ્રક્રિયાનું નિરીક્ષણ કરતા ચૂંટણી પંચના એક અધિકારી પોતે અનેક આરોપોનો સામનો કરી રહ્યા છે અને ભ્રષ્ટ અધિકારીઓની નિમણૂક કરી રહ્યા છે. મમતા બેનર્જીએ પોતાના પર ભ્રષ્ટાચારનો આરોપ છે અને એસઆઈઆરના બહાને મત કાપવાનું કાવતરું ચાલી રહ્યું છે તેવો દાવો કર્યો છે. વધુમાં કહ્યું કે, મને આશા છે કે તેઓ દેશ અને લોકશાહી સાથે દગો નહીં કરે. બેનર્જીએ દાવો કર્યો હતો કે, આ એસઆઈઆરએ જે દેખાય છે તે નથી. પશ્ચિમ બંગાળમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ જેવી પ્રક્રિયા લાગુ કરવા માટે તેનો ઉપયોગ કવર તરીકે થઈ રહ્યો છે.
રાજકીય સંઘર્ષના કેન્દ્રમાં એસઆઈઆર
સંભવિત સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રક્રિયા પશ્ચિમ બંગાળમાં એક નવા રાજકીય વિવાદનું કેન્દ્ર બની ગઈ છે. ટીએમસીનો આરોપ છે કે ચૂંટણી પંચ ભાજપના દબાણ હેઠળ કાર્ય કરી રહ્યું છે અને 2026ની વિધાનસભા ચૂંટણી પહેલા કાયદેસર મતદારોના નામ દૂર કરવાનું કાવતરું ઘડી રહ્યું છે. દરમિયાન, ભાજપ કહે છે કે રાજ્યની મતદાર યાદીમાંથી બનાવટી અને ગેરકાયદેસર નામો દૂર કરવા માટે આ પગલું જરૂરી છે. બાંગ્લાદેશના મુખ્યત્વે હિન્દુ શરણાર્થીઓનું જૂથ, મટુઆ સમુદાય, ઉત્તર 24 પરગણા અને નાદિયા જિલ્લામાં કેન્દ્રિત છે.