કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલી જુદી જુદી કૃષિ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતો સુધી વધુ સરળતાથી પારદર્શક રીતે અને સમયસર પહોંચાડવા માટે સરકારે તમામ ખેડૂતો માટે યુનિક ફાર્મર આઈડી ફરજિયાત બનાવ્યું છે. પીએમ કિસાનના 22 માં હપ્તા માટે આ પ્રકારનું રજીસ્ટ્રેશન અનિવાર્ય છે અને જે ખેડૂતોએ આવું રજીસ્ટ્રેશન નહીં કરાવ્યું હોય તેમને ખેડૂત સહાયના હપ્તા અટકાવવામાં આવશે.
કૃષિ ક્ષેત્ર ટેકનોલોજીનો વ્યાપ વધારવા અને ખેડૂતોને ડિજિટલ સેવાઓ સાથે જોડવા માટે ડિજિટલ પબ્લિક ઇનફા સ્ટ્રકચર ફોર એગ્રીકલ્ચરના ભાગરૂપે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યના તમામ ખેડૂતો માટે ફાર્મર રજીસ્ટ્રી ફરજિયાત બનાવવામાં આવી છે. આવું રજીસ્ટ્રેશન કરાવનાર ખેડૂતને આધાર કાર્ડ ની જેમ 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી આપવામાં આવશે.
ભવિષ્યમાં ખેતીલક્ષી તમામ સેવા માટે પાયાનું ઓળખપત્ર એવા આ યુનિક ફાર્મર આઈડી મેળવનાર ખેડૂતોને વારંવાર દસ્તાવેજો રજૂ કરવાની પ્રક્રિયામાંથી મુક્તિ મળશે અને સરકારની સહાયની ચોક્કસતામાં વધારો થશે. જે ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે. અથવા ભવિષ્યમાં બિયારણ ખાતર કૃષિ સાધનોની સબસીડી વગેરે લાભ લેવા માગતા હોય તો તેમના માટે આ પ્રકારે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. જે ખેડૂતો આવું રજીસ્ટ્રેશન નહીં કરાવે તે આવા લાભથી વંચિત રહી જશે.
જે ખેડૂત ખાતેદારો રજીસ્ટ્રેશન કરાવવા માગતા હોય તેમણે પોતાના ગામના વીસીઈ અથવા વીએલઈ અથવા નજીકના જનસેવા કેન્દ્ર પર જઈને નોંધણી કરાવી શકે છે. ટેકનોલોજીનો ઉપયોગ કરતા ખેડૂતો પોતાના મોબાઈલમાં જ આ પ્રકારે કામગીરી કરી શકે છે અને આ માટે ખાસ વેબસાઈટ પોર્ટલ પર જઈને સેલ્ફ રજીસ્ટ્રેશન પણ કરાવી શકાય છે. રજીસ્ટ્રેશન વખતે ખેડૂતે પોતાનું આધાર કાર્ડ, આધાર કાર્ડ સાથે લિંક થયેલો મોબાઈલ નંબર અને જમીનની અધ્યતન વિગતો સાત/બાર, આઠ -અ સાથે રાખવાની રહેશે