BREAKING NEWS

જામનગર : વનતારા સંવર્ધન શ્રેષ્ઠતાનું કાયદેસરનું વૈશ્વિક હબ: વાઈલ્ડલાઈફ કન્વેન્શનની પુષ્ટિ

  • November 27, 2025 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

CITES સચિવાલય, એક યુએન સાથે સંકળાયેલી સંસ્થા છે, જે વૈશ્વિક વન્યજીવ નિયમોના અનુપાલનની સમીક્ષાની જવાબદારી ધરાવે છે.

જામનગર: ગત રવિવારે ઉઝબેકિસ્તાનના સમરકંદમાં આયોજિત કોન્ફરન્સ ઑફ પાર્ટીઝ ટુ CITESની વીસમી બેઠકમાં, સ્ટેન્ડિંગ કમિટી અને સભ્ય રાષ્ટ્રોના મોટાભાગના દેશોએ પ્રાણીઓની આયાતના સંદર્ભમાં ભારત સામે કોઈપણ પગલાં લેવા પર્યાપ્ત પૂરાવા કે આધાર નથી તેવી પુષ્ટિ કરવાની સાથે જ આ મામલે ભારતના વલણને નિર્ણાયક સમર્થન આપ્યું છે. આ પરિણામ થકી વન્યજીવ સંભાળ માટે કાયદેસરતા, પારદર્શકતા અને વિજ્ઞાન-આધારિત વનતારાના મોડેલને સુદૃઢ માન્યતા પ્રાપ્ત થઈ છે, જે વનતારાને વૈશ્વિક માપદંડો સાથે તેના અનુસરણ અને વિશ્વના સૌથી વધુ નૈતિકતાપૂર્ણ સંચાલિત અને વ્યવસાયિક ઢબે ચાલતા વન્યજીવ સંરક્ષણ કેન્દ્રોમાંના એક તરીકે તેને પ્રસ્થાપિત કરે છે.


CITES સચિવાલય, એક યુએન સાથે સંકળાયેલી સંસ્થા છે, જે વૈશ્વિક વન્યજીવ નિયમોના અનુપાલનની સમીક્ષાની જવાબદારી ધરાવે છે, અને જેણે સપ્ટેમ્બર 2025માં વનતારામાં બે દિવસનું મિશન હાથ ધર્યું હતું. તેની મુલાકાત દરમિયાન વનતારાના એન્ક્લોઝર્સ, પશુચિકિત્સા પદ્ધતિઓ, રેકર્ડ, બચાવ કામગીરી અને વેલ્ફેર પ્રોટોકોલ્સનું વિગતવાર નિરીક્ષણ કરાયું હતું.


ગત 30 સપ્ટેમ્બર 2025ના રોજ સ્ટેન્ડિંગ કમિટીને સુપરત કરાયેલા અહેવાલમાં, સચિવાલયે વનતારાને આધુનિક માળખાગત સુવિધા, અદ્યતન પશુચિકિત્સા સંભાળ અને ઘનિષ્ઠ બચાવ અને પુનર્વસન પ્રણાલિઓ ધરાવતી વિશ્વ-સ્તરીય, કલ્યાણકારી સંસ્થા તરીકે માન્યતા આપી હતી. તેણે પ્રસ્થાપિત કર્યું હતું કે, વનતારાનું કામ પ્રાણીઓના કલ્યાણ અને સંરક્ષણ પર કેન્દ્રિત છે, અને આ સુવિધા ક્યારેય પણ કોઈપણ પ્રકારના ધંધાદારી પશુ વેપારમાં સામેલ નથી. આ અહેવાલમાં વનતારાની નિખાલસતા, સહકાર અને CITESના નિયમો સાથેની સુસંગતતાઓની પણ નોંધ લેવાઈ હતી.


સ્ટેન્ડિંગ કમિટીમાં રવિવારની ચર્ચાઓ દરમિયાન મોટાભાગના પક્ષોએ ભારતની વલણને ટેકો આપ્યો હતો. વૈશ્વિક સમુદાયે વનતારાની અખંડિતતા અને ઉદ્દેશની અસરકારક રીતે પુનઃપુષ્ટિ કરી છે. આ પરિણામ સમતોલનને પ્રસ્થાપિત કરવાની સાથે, જાહેર અને હિમાયતી ક્ષેત્રના ભાગોમાં ફેલાયેલી ભ્રામક વાતોને ફગાવી દે છે, તેમજ હંમેશાથી દેખાઈ રહેલી હકીકતોને જ રેકર્ડ પર મૂકે છે: કે વનતારા સંસ્થા પ્રાણીઓના સંરક્ષણ, કાયદાના પાલન અને સંભાળની યોગ્ય બાજુએ અડીખમ ઊભી છે.


પાર્ટીઝનું આ વ્યાપક સમર્થન ભારતના CITES અમલીકરણ માળખાને મજબૂત સમર્થન આપવાની સાથે-સાથે પહેલા દિવસથી જ વનતારા દ્વારા તે ધારાધોરણોના સતત પાલનની માન્યતાની પણ પુષ્ટિ કરે છે. તે ઘણી રીતે, વનતારાની કામગીરી, મૂલ્યો અને વૈશ્વિક સંરક્ષણ પ્રયાસોમાં યોગદાનની દૃઢતાપૂર્વક પુષ્ટિ છે.


આ આંતરરાષ્ટ્રીય તારણો ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા વનતારા સામેના દરેક આરોપની કાનૂની, નાણાકીય, કલ્યાણકારી અને CITESના માપદંડોની એરણે ચકાસણી કરવા નિયુક્ત કરાયેલી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમના તારણો સાથે સાર્વત્રિક રીતે અને સંપૂર્ણપણે સુસંગત છે. ડોક્યુમેન્ટ ઓડિટ્સ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અધિકારીઓ સાથે પરામર્શ અને જામનગર ખાતેની સુવિધાના સ્થળ પર નિરીક્ષણ સહિતની સઘન ચકાસણી બાદ, SIT એ તારણ પર પહોંચી હતી કે, આ સંબંધિત બધી ફરિયાદો અને મીડિયા અહેવાલો "નિરાધાર, પાયાવિહોણા અને કોઈપણ તથ્ય અથવા કાનૂની આધાર વિનાના" હતા.

​​​​​​​તપાસમાં પુષ્ટિ કરાઈ હતી કે બધા પ્રાણીઓને કાયદેસર રીતે બિન-ધંધાદારી હેતુઓ માટે માન્ય આયાત પરવાના સાથે લાવવામાં આવ્યા હતા, તેમજ વન્યજીવોની કોઈ દાણચોરી, કાળા નાણાંની હેરફેર અથવા નાણાકીય ગેરરીતિઓ આચરાઈ ન હતી, અને માત્ર મૂલ્યાંકનના હેતુઓ માટે જ નિયમિત કસ્ટમ ડોક્યુમેન્ટેશનના ભાગરૂપે ઈન્વોઈસિંગ રેફરન્સની રચના થઈ હતી. વધુમાં, તેણે એ પણ અવલોકન કર્યું હતું કે, વનતારા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના જ નિયમોનું સંપૂર્ણપણે પાલન કરવા ઉપરાંત તેનાથી બે ડગલાં આગળ વધીને ગ્લોબલ હ્યુમન સર્ટિફાઇડ™ દરજ્જો ધરાવે છે, અને પ્રાઈવેટ કલેક્શન તરીકે નહીં પરંતુ એક સત્તાવાર, આંતરરાષ્ટ્રીય સ્તરે સીમાચિહ્ન સ્થાપિત કરનારું બચાવ, પુનર્વસન અને સંવર્ધન કેન્દ્ર તરીકે કાર્યરત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application