BREAKING NEWS

જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફલાયઓવર બ્રિજ નીચે ‘વીર બાળ દિવસ’ની ભવ્ય ઉજવણી કરાઈ

  • December 24, 2025 10:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાત દિવસ માટે આયોજિત કાર્યક્રમનું ઉદ્ઘાટન સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરાયું: કાજલ હિન્દુસ્તાની સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ

જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફલાય ઓવરબ્રિજ નીચે ‘વીર બાળ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, અને સાહિબઝાદાના બલિદાનને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહ્વાન અનુસાર, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે પોતાના પ્રાણનું બલિદાન આપનારા ગુરુ ગોવિંદસિંહજીના પુત્રો – સાહિબઝાદા જોરાવરસિંઘજી અને ફતેહસિંઘજીના શહાદત દિવસને 'વીર બાળ દિવસ' તરીકે જામનગરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવ્યો છે.



આ નિમિત્તે, જામનગર ગુરુદ્વારાની બાજુમાં આવેલા નવા ફલાય ઓવર બ્રિજ નીચે, વીર બાળ દિવસની યાદમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી ૨૮ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. આ કાર્યક્રમનો શુભારંભ જામનગર-દેવભૂમિ દ્વારકાના  સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યો હતો. ડોક્યુમેન્ટરી ફિલ્મ: શૌર્યગાથાને લોકો સુધી પહોંચાડવા માટે મોટી સ્ક્રીન પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત ગુરુ ગોવિંદસિંહજીના ચાર સાહિબઝાદાઓના કટ-આઉટ સાથેનો એક સુંદર સેલ્ફી પોઇન્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

  આગામી પાંચ દિવસ સુધી ચાલનારો આ કાર્યક્રમ  રાત્રિના ૭:૦૦ વાગ્યાથી ૧૦:૦૦ વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લો રહેશે. 

​​​​​​​

ગત રાત્રે યોજાયેલા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમની સાથે સાથે જામનગર મહાનગરપાલિકાના ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નીલેશ કગથરા શહેર ભાજપના અધ્યક્ષ બીનાબેન કોઠારી, શહેર મહામંત્રી વિજયસિંહ જેઠવા, શિક્ષણ સમિતિના ચેરમેન પરસોતમભાઈ કકનાણી, શહેર ભાજપના પૂર્વ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, એડવોકેટ બીમલભાઈ ચોટાઈ, પ્રખર તેજાબી હિન્દુ વક્તા કાજલ હિન્દુસ્તાની, વિશ્વ હિન્દુ પરિષદના સંત સંપર્ક પ્રમુખ વ્રજલાલભાઈ પાઠક, હિન્દુ જાગરણ મંચના ભરતભાઈ ફલીયા, ગુરુદ્વારા કમિટીના તમામ સભ્યો અને શીખ સમાજના લોકોઉપરાંત, શહેર ભાજપના અન્ય હોદ્દેદારો અને કાર્યકરોએ પણ ઉપસ્થિત રહી સાહિબઝાદાઓના બલિદાનને યાદ કર્યા હતા.

જામનગરમાં ૨૨ ડિસેમ્બર થી પ્રારંભ થયેલા આ સાત દિવસીય કાર્યક્રમ દરમિયાન જામનગરની જનતા સાહિબઝાદાઓના અપ્રતિમ બલિદાનની ગાથાને જાણી, શ્રદ્ધાંજલિ અર્પણ કરી શકે, તે ઉદેશ્યથી સર્વે ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application