જામનગરમાં ગુરુદ્વારા નજીક નવા ફલાય ઓવરબ્રિજ નીચે વીર બાળ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને ગુરુ ગોવિંદસિંઘજીના સાહિબઝાદાઓના બલિદાનને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે, જેને પ્રચંડ જન સમર્થન મળી રહ્યું છે અને સાહીબઝાદાઓના બલિદાનની ડોક્યુમેન્ટરી નિહાળવા માટે શહેરના અનેક મહાનુભાવો અને નાગરિકો મુલાકાત લઈ રહ્યા છે.
દરમિયાન જામનગરના જિલ્લા કલેકટર કેતન ઠક્કર પણ મુલાકાતે આવ્યા હતાં અને તેઓએ ગુરુ ગોવિંદસિંઘજીના સાહીબઝાદાઓના બલિદાનની ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળીને અભિભૂત થયા હતાં, સાથોસાથ સેલ્ફી વગેરેનું પણ નિરીક્ષણ કર્યું હતું અને બાલ દિવસની ઉજવણીમાં સામેલ થયા હતાં. તેઓએ સનાતન સંસ્કૃતિની રક્ષા કાજે ગુરુ ગોવિંદસિંઘજીના બલિદાન તેમજ તેઓના સાહિબઝાદાઓના બલિદાનનો સમગ્ર ઇતિહાસ જામનગર શહેર-જિલ્લાની જનતાને પ્રદર્શિત કરવા માટે સમગ્ર ગુરુદ્વારા કમિટીને અભિનંદન પાઠવ્યા હતાં.
આ ઉપરાંત જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.પી.ઝા તથા અન્ય પોલીસ સ્ટાફ પણ જોડાયા હતાં અને તેઓએ પણ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. શહેરના અનેક નગરજનો એ ઉપસ્થિત રહીને આ ડોક્યુમેન્ટરી નિહાળી હતી, જેમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત શહેરના બાળકો સહિતના અનેક નગરજનોએ સાહીબઝાદાઓના કટ આઉટ સાથેની સેલ્ફી પણ પડાવી હતી. જામનગરના ગુરુદ્વારા કમિટી દ્વારા ઉપરોક્ત કાર્યક્રમ પ્રતિદિન સાંજે ૭.૦૦ વાગ્યાથી રાત્રિના ૧૦.૦૦ વાગ્યા સુધી અવિરત ચાલુ રાખવામાં આવ્યો છે અને આગામી ૨૮ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે, જેનો અન્ય શહેરીજનોએ લાભ લેવા અનુરોધ કરાયો છે.