જામનગર જિલ્લાના વાહન માલિકો ટુ વ્હીલર માટેની નવી સિરીઝ જીજે-૧૦-ઇજે (EJ) ના તમામ પ્રકારના નંબરોના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે
જામનગર જિલ્લાના વાહન માલિકો ટુ વ્હીલર માટેની નવી સિરીઝ જીજે-૧૦-ઇજે (EJ) ના તમામ પ્રકારના નંબરોના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે
November 28, 2025 01:14 PM
જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના વાહન માલિકો ટુ વ્હીલર મોટર સાઇકલ માટેની જીજે-૧૦-ઇજે (EJ) નવી સીરીજના તમામ પ્રકારના નંબરોના ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે.આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.૦૨/૧૨/૨૦૨૫ થી તા.૦૪/૧૨/૨૦૨૫ ના બપોરે ૦૪:૦૦ કલાક સુધીનો રહેશે.આ ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.૦૪/૧૨/૨૦૨૫ થી ૦૬/૧૨/૨૦૨૫ સુધીનો રહેશે.
તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.૦૬/૧૨/૨૦૨૫ ના રોજ બપોરે ૦૪:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉક્ત વેબસાઇટ પર લોગ-ઈન કરીને વાહન ખરીદીના દિવસ-૦૭ ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.
વાહન માલિકે ગોલ્ડન, સિલ્વર કે અન્ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્ટ પ્રક્રિયા પૂર્ણ કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે. વાહનમાલિકે પોતાની બીડ ઉપરોકત જણાવેલા સમયગાળા દરમિયાન ૧૦૦૦ના ગુણાંકમાં વધારી શકશે. ઈ-ઓકશનના અંતે નિષ્ફળ થયેલા અરજદારોએ રીફંડ માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની કચેરી, જામનગરનો સંપર્ક કરવાનો રહેશે.પસંદગીના નંબર મેળવેલા અરજદારોએ બાકી રકમનું ચૂકવણું ઓનલાઈન રીતે દિવસ-૦૫માં કરવાનું રહેશે. જેમાં નિષ્ફળ ગયે પસંદગીના નંબરની ફીનું રીફંડ મળશે નહીં જેની સર્વે વાહન માલિકોને નોંધ લેવા માટે પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી,જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે...