નોકરી બદલતા કર્મચારીઓ માટે આ એક મોટા સમાચાર છે. કેન્દ્ર સરકારે કરોડો કર્મચારીઓને રાહત આપતા, નવા લેબર કોડ હેઠળ મોટો ફેરફાર કર્યો છે. હવે રાજીનામું આપ્યા બાદ કે કંપનીમાંથી છટણી થયા બાદ કંપનીઓએ માત્ર ૪૮ કલાક (બે કાર્યકારી દિવસો) માં કર્મચારીનો સંપૂર્ણ હિસાબ (Full & Final Settlement) ચૂકવવો પડશે. ૨૧ નવેમ્બર, ૨૦૨૫ થી લાગુ થયેલો આ નવો નિયમ વર્ષોથી ચાલી રહેલી ૪૫ થી ૬૦ દિવસની લેટલતીફીનો અંત લાવશે.
નવા લેબર કોડની મોટી રાહત
વર્તમાન સિસ્ટમમાં કર્મચારીઓને તેમની જમા મૂડી (બકાયા પગાર, લીવ એન્કેશમેન્ટ વગેરે) મેળવવા માટે એચઆર અને ફાઇનાન્સ વિભાગના ચક્કર લગાવવા પડતા હતા, અને આ પ્રક્રિયા ૬૦ દિવસ સુધી લંબાતી હતી.
નવો નિયમ:
કોડ ઓન વેજીસ, ૨૦૧૯ (Code on Wages, 2019) હેઠળ હવે કંપનીએ કર્મચારીના કંપની છોડ્યાના માત્ર બે કાર્યકારી દિવસોની અંદર તેમનો સંપૂર્ણ અને અંતિમ હિસાબ ક્લિયર કરવો પડશે. આ નિયમ માત્ર ફિક્સ્ડ-ટર્મ કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ તમામ કાયમી સ્ટાફ માટે પણ સમાન કડકાઈથી લાગુ થશે. નવા નિયમની સૌથી મહત્ત્વની વાત એ છે કે, કર્મચારી કંપનીથી કયા સંજોગોમાં અલગ થયો છે, તેનાથી કોઈ ફરક પડતો નથી.
કર્મચારીએ પોતાની મરજીથી રાજીનામું આપ્યું હોય, કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હોય (Terminate), છટણી (Layoff) થઈ હોય કે પછી કંપની બંધ થઈ ગઈ હોય—તમામ પરિસ્થિતિઓમાં આ નિયમ લાગુ થશે.
BTG Advaya ના પાર્ટનર અર્જુન પલેરીના મતે, વેજ કોડ ૨૦૧૯ની કલમ ૧૭(૨) સ્પષ્ટ કરે છે કે ગ્રેચ્યુઇટી જેવા કેટલાક કાયદાકીય ચૂકવણીઓને બાદ કરતાં કર્મચારીના બાકીના સમગ્ર પગાર અને બાકી રકમની ચૂકવણી તેના છેલ્લા કાર્યકારી દિવસના બે દિવસની અંદર થઈ જવી જોઈએ. આ નિયમ હવે પગારની મર્યાદા કે જોબ પ્રોફાઇલના ભેદભાવ વિના દરેક કર્મચારી પર લાગુ થશે.
કંપનીઓની મનમાની પર લગામ
અગાઉ, કંપનીઓ પગાર, લીવ એન્કેશમેન્ટ અને ગ્રેચ્યુઇટી જેવા તમામ ચૂકવણીઓને એકસાથે પ્રોસેસ કરતી હતી, જેના કારણે ૪૫-૬૦ દિવસનો સમય લાગતો હતો.