જામનગરના ચાંદીબજારમાં આવેલા બુગદાઓમાં ૩૨ દુકાનદારોને ઓટલા સહિતના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે એસ્ટેટ શાખા દ્વારા નોટીસ ફટકારાઇ છે અને ૭ દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે ત્યારે દુકાનદારોએ રાજકીય શરણુ લીધું હોવાની વાતો બહાર આવી રહી છે, આ કાર્યવાહી થશે કે કેમ ? તે અંગે લોકોમાં ચર્ચા શરૂ થઇ છે.
એસ્ટેટ શાખાએ ચાંદીબજારમાં આવેલ બુગદાના દુકાનદારોને ગેરકાયદેસર ઓટલા તોડી પાડવા અગાઉ રૂબરૂ પણ જણાવ્યું હતું, ત્યારબાદ નોટીસ ફટકારવામાં આવી છે અને વળી આ નોટીસમાં એવું જણાવાયું છે કે, સાત દિવસમાં આ તમામ ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવે નહીંતર કોર્પોરેશન કાર્યવાહી કરશે અને જે નુકશાન થશે તેની જવાબદારી દુકાનદારોની રહેશે. આમ નોટીસ બાદ વેપારીઓ કેટલાક રાજકીય લોકોને મળ્યા હોવાનું પણ સામે આવ્યું છે. હવે આ કાર્યવાહી નોટીસનો સમય પુરો થયા બાદ કરવામાં આવશે કે કેમ તે અંગે લોકોમાં ચર્ચા થઇ રહી છે.