BREAKING NEWS

રાજકોટના મેયર પદે કડવા પાટીદાર કોર્પોરેટરને તક? સંભવિત 20 નામોની જુઓ યાદી

  • May 14, 2026 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકામાં ૬૫ બેઠક સાથે ભાજપનું શાસન સુનિશ્ચિત બનતા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને શાસકપક્ષના દંડક સહિતના પાંચ મુખ્ય પદાધિકારીઓની પસંદગી કરવા રાજકોટ ભાજપના હોદેદારો, ધારાસભ્યો, સાંસદો તેમજ તમામ અપેક્ષિતોની ઉપસ્થિતિમાં પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મિટિંગ મળી હતી જેમાં પ્રારંભે રાજકોટ જિલ્લાની ચર્ચા બાદ રાજકોટ શહેરનો મામલો ચર્ચામાં લેવાયો હતો, જેમાં મુખ્ય પાંચ પદ માટે ચાર-ચાર નામોની કુલ પાંચ પેનલ એ મુજબ ૨૦ નામો બોર્ડ સમક્ષ રજૂ કરાયા હોવાનું જાણવા મળે છે. દરમિયાન ૨૫ વર્ષ બાદ રાજકોટનું મેયર પદ કડવા પાટીદાર સમાજના કોર્પોરેટરને અપાય તેવી પ્રબળ શક્યતા હોવાનું ચિત્ર આજે બપોર બાદ ઉપસ્યું છે.

વિશેષમાં સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સૌપ્રથમ આજે સવારે રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીના નિવાસ સ્થાને સંકલન મિટિંગ મળી હતી જેમાં પાંચ પદ માટે ચાર ચાર નામ મુજબ કુલ ૨૦ નામોની પેનલની રચના કરાઇ હતી જેમાં જ્ઞાતિ-સમાજનું પ્રતિનિધિત્વ તેમજ વિધાનસભા ક્ષેત્રનું બેલેન્સ જળવાય તેવા નામો રજૂ કરાયા હતા. ત્યારબાદ સીએમ બંગલો ખાતે મળેલી પાર્લામેન્ટ્રી બોર્ડની મિટિંગમાં સૌપ્રથમ રાજકોટ જિલ્લાની ચર્ચા કરાઇ હતી ત્યારબાદ બપોરે રાજકોટ શહેરની ચર્ચા કરાઇ હતી.


પક્ષના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ રાજકોટમાં ૨૫ વર્ષના લાંબા સમયગાળા બાદ કડવા પાટીદારને મેયર પદ અપાય તેવી પ્રબળ શક્યતા છે. છેલ્લે વર્ષ ૨૦૦૦માં મંજુલાબેન હરિભાઈ પટેલ મેયર હતા ત્યારબાદ કડવા પાટીદારને મેયર પદ અપાયું નથી. આ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છમાં અન્યત્ર ક્યાંય કડવા પાટીદારને મુખ્ય પદ આપી શકાય તેવી સ્થિતિ નથી. મોરબીમાં મેયર પદમાં ઓબીસી રિઝર્વેશન છે, સુરેન્દ્રનગરમાં એસસી રિઝર્વેશન છે, પોરબંદરમાં મેયર પદ જનરલ છે, ગાંધીધામમાં મેયર પદ મહિલા અનામત છે, ભાવનગરમાં કડવા પટેલને મેયર પદ આપી શકાય તેવા સંજોગો નથી. આ તમામ સ્થિતિ જોતા રાજકોટમાં જ કડવા પટેલને મેયર પદ આપી શકાય તેવા સાનુકૂળ સંજોગો છે તેવી ચર્ચા પાર્લામેન્ટ્રી બોર્ડની મિટિંગ પૂર્ણ થયા બાદ સામે આવી છે.મુખ્ય પાંચ પદમાંથી બે પદ મહિલાને અપાશે તેવી વાત પણ સામે આવી છે.


એકંદરે એવી ફોર્મ્યુલા છે કે જો પાટીદારને મેયર પદ અપાય તો ક્ષત્રિય,બ્રાહ્મણ અથવા ઓબીસી ને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદે તક અપાય તેવી સંભાવના છે. અને જો ક્ષત્રિય કે બ્રાહ્મણને મેયર પદ અપાય તો સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ પાટીદાર અથવા ઓબીસીને અપાશે.

સંભવિત ૨૦ નામો

૧.અશ્વિન ભોરણીયા

૨.નરેન્દ્રસિંહ (ટીકુભા) જાડેજા

૩.ડો.નેહલભાઇ શુક્લ

૪.મનીષ ભટ્ટ

૫.ઘનશ્યામ હેરભા

૬.પ્રદીપ ડવ

૭.કેતન ઠુમ્મર

૮.દિલીપ લુણાગરિયા

૯. પરેશ પીપળીયા

૧૦.હિરેન ખીમાણીયા

૧૧.કિશન ટીલવા

૧૨.સંજયસિંહ રાણા

૧૩.જયરાજસિંહ જાડેજા

૧૪.મોહિતસિંહ જાડેજા

૧૫.નિલેશ હેરભા

૧૬. ભારતીબેન પરસાણા

૧૭.કિરણબેન માંકડીયા

૧૮.ભારતીબેન પાડલીયા

૧૯.દક્ષાબેન વસાણી

૨૦. પરેશ ઠાકર


અશ્વિન ભોરણીયાના નામ માટે બે ધારાસભ્ય સહિતના નેતાઓ તરફેણમાં

વોર્ડ નં.૧૦ના ભાજપના કડવા પાટીદાર કોર્પોરેટર અશ્વિનભાઇ ભોરણીયા ને મેયર કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદ જેવું મહત્વનું પદ અપાય તે માટે બે ધારાસભ્યો અને એક સાંસદ સહિતના નેતાઓ એ ભારે તરફેણ કરી હોવાનું ચર્ચાય રહ્યું છે. અલબત્ત એક સમૂહમાં તો ભોરણીયા ઉપર અભિનંદન વર્ષા પણ થઈ રહી હોવાનું જાણવા મળે છે. જો કે કડવા પાટીદાર સમાજમાંથી અન્ય દાવેદારો પણ રેસમાં છે પરંતુ ભોરણીયા સૌથી સિનિયર છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application