જામનગરના સચાણાના ખેતીની જમીનના રસ્તા બાબતે વાંધો ચાલતો હોય જે અંગે મામલતદારમાં કેસ કરવામાં આવ્યો હતો જેનો ખાર રાખીને એક ખેડુતને ધુંવાવ પાસે પાઇપ વડે માર મારી ધમકી દેવામાં આવી હતી, આ બનાવ અંગે સચાણાના ૩ શખ્સો સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગર તાલુકાના સચાણા ગામમાં તળાવફળીમાં રહેતા ખેતીકામ કરતા યાસીન સુમારભાઇ લાખા (ઉ.વ.૪૦) ની ગામમાં ખેતીની જમીન આવેલ હોય અને તેની પાસે આરોપી મામદ ગજીયાની ખેતીની જમીન આવેલી હોય, બંને જણાને ખેતીની જમીનના રસ્તા બાબતે વાંધો ચાલતો હોય, દરમ્યાન ફરીયાદીએ મામલતદાર કચેરીમાં કેસ કર્યો હતો.
જેનો ખાર રાખીને તા. ૨૭ના બપોરના ધુંવાવ ગામ પાસે આરોપીઓએ એક સંપ કરીને મામદે લોખંડના પાઇપ વડે ફરીયાદી યાસીનભાઇ પર હુમલો કરી ઇજા પહોચાડી હતી તેમજ શરીરે મુંઢ માર મારી ધમકી દીધી હતી.
યાસીનભાઇ દ્વારા આ બનાવ અંગે પંચ-એમાં મામદ જુમા ગજીયા, તનવીર મામદ ગજીયા, આશિષ અલારખા કકકલ રહે. બધા સચાણાની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.