બાલાજી હનુમાન મંદિર પાસે યુવાન પર હુમલો કરી ગુપ્તભાગે છરીનો ઘા ઝીંક્યો
બાલાજી હનુમાન મંદિર પાસે યુવાન પર હુમલો કરી ગુપ્તભાગે છરીનો ઘા ઝીંક્યો
February 02, 2026 02:29 PM
શહેરમાં કરણસિંહજી સ્કૂલ પાસે આવેલા બાલાજી હનુમાન મંદિર બહાર યુવાન પર રીક્ષામાં આવેલા બે શખસોએ હુમલો કરી ગુપ્તભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાન પૈસા બાબતે તેની પત્ની સાથે ઝઘડો કરતો હોય દરમિયાન આ બંને શખસોએ તેના પર હુમલો કર્યો હતો. જે અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બનાવ અંગે આરટીઓ કચેરી પાછળ નરસિંહનગર શેરી નંબર -7 માં ભાડેથી રહેતા 38 વર્ષીય યુવાન વિનોદભાઈ ઉર્ફે વિજય લઘુશંકરભાઇ ધામેલએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બાઘા અને હિરેન વાણંદનું નામ આપતાં જણાવ્યું હતું કે, તે અને તેની પત્ની સોનલબેન બંને બાલાજી મંદિર ભુપેન્દ્ર રોડ ખાતે ફૂલહાર વેચીને પરિવારનુ ગુજરાન ચલાવે છે. ગઇ તા.૩૧/૦૧/૨૦૨૬ના રોજ રાત્રિના સમયે યુવાન ભુપેન્દ્ર રોડ પર આવેલ બાલાજી મંદિર ખાતે ફૂટપાથ પર સૂતો હતો અને પત્ની બાલાજી મંદિર પાસે ફુલહાર વેચીને મારા ઘરે જતા રહેલા હતા. બાદ બીજા દિવસે યુવાને પત્ની પાસે વાપરવાના રૂપિયા માંગતા તેણે પૈસા આપવાની ના પાડેલ હતી. જે બાબતે બોલાચાલી થતી હતી. દરમિયાન અગાઉનો મિત્ર બાપુનો છોકરો બાઘો તથા હિરેન વાણંદ બંને રીક્ષામાં યુવાનની પત્ની સોનલબેન પાસે આવેલ હતા. હિરેન વાણંદ રીક્ષામાં પાછળની સીટમાં બેઠેલ હતો. તેણે સીટની પાછળથી છરી કાઢીને બાઘાને આપેલ હતી અને બાઘો યુવાન પાસે આવીને છરી વડે બેઠકથી નીચે સાથળના ભાગે છરીનો ઘા મારેલ હતો. બાદ યુવાનને ગુપ્તભાગે છરીનો ઘા મારતા લોહી નીકળતા ત્યાં યુવાનનો મિત્ર આશિફ ગંધારો હાજર હોય તેણે તેને છોડાવ્યો હતો. ત્યાં ભીડ ભેગી થઈ જતાં બંને શખસો રીક્ષા લઈને જતા રહ્યા હતા. બાદ યુવાનની પત્નીએ 108 એમ્બયુલન્સ બોલાવી તેને સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે લઇ ગઇ હતી.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી પીએસઆઈ ડી.વાય. મહંત તથા ટીમે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.