શહેરના ખોડીયારપરા વિસ્તારમાં રહેતી ૧૩ વર્ષની તરૂણીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. તરૂણીના અહીં બહેન બનેવી સાથે રહેતી હતી. બનેવી બહેનને ગાળો ભાંડતો હોય જે બાબતે લાગી આવતા તેણે આ પગલું ભરી લીધુ હતું. બનાવને લઇ પરપ્રાંતીય પરિવારમાં ગમગીની છવાય ગઇ હતી.
બનાવને લઇ થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, આજીવસાહત પાસે ખોડીયારપરા-૨૭ માં રહેતી ચાંદની શેખરભાઇ ચૌહાણ(ઉ.વ. ૧૩) નામની તરૂણીએ ગઇકાલે સાંજે ઘરે દુપટ્ટા વડે ફાંસો ખાઇ લીધો હતો. જે અંગેની જાણ થતા ૧૦૮ ને બોલાવતા ઇએમટીએ જોઇ તપાસી તરૂણીને મૃત જાહેર કરી હતી. બનાવને લઇ થોરાળા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી
બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુબજ, આપઘાત કરી લેનાર ચાંદની ત્રણ બહેન એક ભાઇના પરિવારમાં વચેટ હતી. પરિવાર મૂળ યુપીનો વતની છે. તરૂણીના માતા-પિતા કામ સબબ મુંબઇ રહે છે. તરૂણી અહીં ખોડીયારપરામાં બહેન રીના અને બનેવી ધર્મપાલ સાથે રહેતી હતી. રસોઇ બાબતે ધર્મપાલે પત્ની રીનાને ગાળો ભાંડતા આ વાત ચાંદનીને પસંદ પડી ન હતી. તેણે બહેન સાથે આ બાબતે વાત પણ કરી હતી. જોકે તેની બહેન રીનાએ કહ્યું હતું કે તારા જીજાજી ગુસ્સામાં હોવાથી આવું બોલ્યા તેવું ચાલ્યા કરે પરંતુ આ વાત ચાંદીને લાગી આવતા તેણે આ પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.