ડીકેવી સર્કલ પાસે દેખાવ, પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરાઇ
એસસી,એસટી,ઇડબલ્યુએસના છાત્રોને શિષ્યવૃતિ ન મળતી હોવાનો આક્ષેપ
જામનગરમાં એસસી, એસટી, ઇડબલ્યુએસના છાત્રોને શિષ્યવૃતિ ન મળતી હોવાના આક્ષેપ સાથે ડીકેવી સર્કલ પાસે આજે એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દેખાવના પગલે પોલીસ દોડી ગઇ હતી અને એબીવીપીના કાર્યકરોની અટકાયત કરી હતી.
જામનગરમાં SC/ ST/EWS કેટેગરીના વિદ્યાર્થીઓને સ્કોલરશિપની રકમ હજુ સુધી ન મળતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા ડી.કે.વી. સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓને સ્કોલરશિપની રકમ ન મળવાના મુદ્દે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. ABVP દ્વારા માંગ કરવામાં આવી હતી કે સ્કોલરશિપ માટે પાત્ર વિદ્યાર્થીઓને તેમની બાકી રકમ તાત્કાલિક ચૂકવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ દરમિયાન આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે. વિદ્યાર્થીઓના હિત સાથે જોડાયેલા આ મહત્વના પ્રશ્નનો તાત્કાલિક નિવેડો લાવવામાં આવે અને પાત્ર વિદ્યાર્થીઓને સ્કોલરશિપની રકમ વહેલી તકે ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ABVPના કાર્યકરો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.