BREAKING NEWS

જામનગર: રિલાયન્સ દ્વારા સેતાલુસ ગામે આધુનિક ગૌશાળા બનશે: ભૂમિપૂજન કરાયું

  • August 25, 2026 06:57 PM 

જામનગર: રિલાયન્સ દ્વારા સેતાલુસ ગામે આધુનિક ગૌશાળા બનશે: ભૂમિપૂજન કરાયું

ગૌશાળામાં પશુઓના નિભાવ માટે વિવિધ સુવિધાઓ ઉપરાંત સ્વચ્છ, સુરક્ષિત અને આરોગ્યપ્રદ આશ્રય ઉપલબ્ધ બનશે

જામનગર, તા. 25 ઓગસ્ટ: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા લાલપુર તાલુકાના સેતાલુસ ગામે ગ્રામજનોની વિશાળ ઉપસ્થિતિમાં આધુનિક ગૌશાળાનું ભૂમિપૂજન તથા ખાતમુહૂર્તવિધિ યોજાઈ હતી. કંપનીના ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીના માર્ગદર્શન અને સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે હાથ ધરાયેલા આ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ ગૌસેવાને પ્રોત્સાહન આપવા ઉપરાંત ગાય તથા ગૌવંશની સંભાળ, સુરક્ષા અને કલ્યાણ માટે સલામત, સ્વચ્છ અને સુવિધાસભર આશ્રયસ્થાન ઉપલબ્ધ કરાવવાનો છે.

પ્રસ્તાવિત ગૌશાળામાં પશુઓના સુવ્યવસ્થિત નિભાવ અને કલ્યાણ માટે વિવિધ આવશ્યક સુવિધાઓ વિકસાવવામાં આવશે. જેમાં મુખ્ય પ્રવેશદ્વાર, કમ્પાઉન્ડ વોલ, ગૌશેડ, પીવાના પાણી માટેનો અવાડો, ઘાસચારા માટેનું ગોડાઉન, બળદો માટે અલગ રૂમ સહિતની જરૂરી માળખાગત સુવિધાઓનો સમાવેશ થાય છે. આ સુવિધાઓના વિકાસથી ગોવંશ માટે સુરક્ષિત, સ્વચ્છ, આરોગ્યપ્રદ અને સુવ્યવસ્થિત આશ્રય ઉપલબ્ધ થશે. સાથે જ સેતાલુસ ગામમાં ગૌસેવા અને પશુ કલ્યાણની પ્રવૃત્તિઓને વધુ મજબૂતી મળશે.

ગૌશાળાના ભૂમિપૂજન પ્રસંગે સ્થાનિક ગૌસેવા ટ્રસ્ટના સદસ્યો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રતિનિધિઓ તેમજ ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સેતાલુસના ગ્રામજનોએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આ લોકોપયોગી અને સમાજલક્ષી પહેલને આવકારી હતી. સાથોસાથ, ગ્રામજનોએ સમગ્ર ગામ વતી ગામના વિકાસ તેમજ ગૌસેવાના ઉમદા કાર્ય માટે માર્ગદર્શન અને સહયોગ આપવા બદલ ધનરાજ નથવાણીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સમયસર અને સફળતાપૂર્વક ગૌશાળાનું નિર્માણ પૂર્ણ થયા બાદ સેતાલુસ ગામમાં ગોવંશની સંભાળ, સુરક્ષા અને કલ્યાણ સંબંધિત અનેકવિધ પ્રવૃત્તિઓને વધુ વેગ મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News