↵જામનગરમાં વૃઘ્ધની હત્યા કેસમાં આરોપીની ધરપકડ
જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં ઉછીના આપેલા રૂપિયા પરત માંગવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ વૃઘ્ધની હત્યા કરવામાં આવી હોવાનો બનાવ સામે આવ્યો હતો જેમાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ કરી તપાસ લંબાવી છે.
જામનગરના માલુભાના ચોક નજીક રહેતા ચંદ્રસિંહ મેરુજીભાઈ રાઠોડ નામના વૃઘ્ધની છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવવામાં આવી હતી, મૃતકના મિત્ર શંકરટેકરીમાં રહેતા હુશેન ઇસ્માઇલ સંધીએ ઉછીના પૈસા આપ્યા હોય જેની માંગણી કરવાના મુદે બોલાચાલી થતા હત્યા નિપજાવવામાં આવી હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યુ હતું.
બનાવની જાણ થતાં સીટી-સી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સમગ્ર મામલે હુશેન ઇસ્માઇલ સંધી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવામાં આવી હતી.
દરમ્યાન સીટી-સી પોલીસ ઇન્સ્પેક્ટર આર.વી. રાઠોડની આગેવાની હેઠળ પોલીસ દ્વારા આરોપીની સંડોવણી સહિત સમગ્ર ઘટનાની તપાસ કરીને આરોપી હુશેન સંધીને દબોચી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.