જામનગર: સચાણામાં હત્યા કેસના આરોપીઓને ત્યાંથી વીજ ચોરી જડપાઈ
હત્યા કેસના 14 આરોપીઓમાંથી 12ના વીજ જોડાણોની તપાસ કરાઈ: કલમ 135 હેઠળ 4 ગુના દાખલ કરાયા
સચાણા વિસ્તારમાં થોડા દિવસ પહેલા હત્યાનો બનાવ સામે આવ્યો હતો જેમાં 14 આરોપીઓઓની અટકાયત કરવામાં આવી હતી. આ પૈકી સચાણા ખાતે રહેતા 12 આરોપીઓના વીજ કનેક્શનોની PGVCL દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલાક આરોપીઓના વીજ જોડાણ કાયદેસર હોવાનું સામે આવ્યું છે, જ્યારે મોટા ભાગના આરોપીઓ દ્વારા ગૈરકાયદેસર રીતે વીજ વપરાશ કરવામાં આવતો હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.

તપાસ દરમિયાન અકબર દાઉદ બુચળ તથા સીદીક દાઉદ બુચળ (બંને રહે. તળાવ ફળિયા, સચાણા) ખાતે તેમના રહેણાંક મકાનોમાં કાયદેસર રીતે સ્માર્ટ મીટર સાથેનું વીજ જોડાણ લાગેલું હોવાનું જણાયું છે. જ્યારે ઉમર દાઉદ બુચળ, જાફર ઉમર બુચળ, ઇમરાન ઉમર બુચળ તથા અફજલ ઉમર બુચળ નામના ચારેય આરોપીઓ એક જ રહેણાંક મકાનમાં રહેતા હોવાનું સામે આવ્યું હતું અને ત્યાં ગૈરકાયદેસર વીજ કનેક્શન દ્વારા વીજ વપરાશ કરતા હોવાનું તપાસમાં બહાર આવતા PGVCL દ્વારા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવાની તજવીજ કરવામાં આવી છે.
ઉપરાંત સુલતાન જાકુભાઈ બુચળ, જાવેદ જુમાઅલી જામ, જુમાઅલી જામ, જાકીર હુસેન જુમાઅલી જામ, સબીર અસગર બુચળ તથા જીલાની અસગર બુચળ દ્વારા પણ ગૈરકાયદેસર વીજ કનેક્શનનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું તપાસમાં સ્પષ્ટ થતાં તેમના વિરુદ્ધ પણ PGVCL દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી અંતર્ગત PGVCL અધિનિયમની કલમ 135 હેઠળ કુલ 4 અલગ-અલગ ગુનાઓ દાખલ કરાયા હતા.
આ સિવાય ગુનાના બાકી રહેલા આરોપીઓમાં જુસબ ઓસમાણ ગઢાર (રહે. વેરાવળ) તથા આબીદ હજી શાયચા (રહે. બેડી મરીન) આ બંનેના વીજ કનેક્શનની તપાસ કરવાનું હજી બાકી હોવાનું PGVCL દ્વારા જણાવવામાં આવ્યું છે.
PGVCL દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગૈરકાયદેસર વીજ વપરાશ સામે આવનાર દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે અને કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે કોઇપણ પ્રકારની ઢીલાશ રાખવામાં નહીં આવે.