જામનગર: જન્મ-મરણ શાખામાં ૫૦૦૦ થી વધુ અરજી પેન્ડીંગ: જેનબ ખફી
સી.આર.એસ. કરાવવા લોકોને કોર્પોરેશનની બહાર મોકલવામાં આવે છે: દાખલા કઢાવવામાં ખુબજ મુશ્કેલી પડતી હોવાની રાવ મ્યુ.કમિશનરને લખેલા પત્રમાં કરી
જામનગર જન્મ મરણ શાખામાં આશરે પ થી ૬ હજાર જેટલી અરજીઓ દાખલા કઢાવવા માટે પેન્ડીંગ છે, લોકો લાંબા સમયથી હેરાન પરેશાન થાય છે, હાલના પરિપત્ર મુજબ અસંખ્ય ફરિયાદ આવે છે, એટલે નવા ફોર્મેટનો જ દાખલો દરેક જગ્યાએ માન્ય રાખવામાં આવે છે જેના માટે લોકો નવા ફોર્મેટ મુજબ જામનગર મહાપાલિકાની જન્મમરણ શાખામાં દાખલો કઢાવવામાં આવે છે ત્યારે તે લોકો સીઆરએસ કરાવવા કોર્પોરેશનની બહાર મોકલે છે જેનો ચાર્જ વધુ લાગે છે. આ અંગે ઘટતુ કરવાની માંગણી વોર્ડ નં. ૧૨ના કોર્પોરેટર જૈનબ ખફીએ મ્યુ. કમિશનરને લખેલા પત્રમાં કરી છે.
આ પત્રમાં જણાવાયુ છે કે સીઆરએસ કરાવવા સાયબર કાફેમાં મોકલાય છે ત્યારે તેનો ચાર્જ રૂ.૨૫૦ થી ૩૦૦ થાય છે, મોટી લાઇનોમાં કલાકો સુધી ઉભા રહ્યા પછી લોકોને બહાર મોકલવામાં આવે છે જે દાખલાનો ચાર્જ જે તે વખતે ભર્યો હોય તેનો ચાર્જ ફરીથી ન લેવો જોઇએ. તેમ છતાં દાખલાનો ચાર્જ રૂ.૧૨૦ ચુકવવો જ પડે. ગરીબ લોકો કામધંધા મુકીને લાઇનોમાં ઉભા રહે છે ત્યારે કોર્પોરેશનમાં જ સીઆરએસ સીસ્ટમ શરૂ કરી જે પ થી ૬ હજાર અરજી પેન્ડીંગ છે તેનો નિકાલ તાત્કાલિક કરવો જોઇએ. તેમ પત્રમાં જણાવાયું છે.