જામનગર જિલ્લામાં જન્માષ્ટમી તથા સવંત્સરીના તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી
જામનગર તા ૩ સપ્ટેમ્બર, આગામી દિવસોમાં આવનાર જન્માષ્ટમી તથા સવંત્સરી જેવા તહેવારો અને ઉત્સવોની ઉજવણી દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતી તકેદારીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં આગામી તા.૦૧/૧૦/૨૦૨૬ સુધી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરી દ્વારા સમગ્ર જામનગર જિલ્લામાં હથિયારબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી કે લાઠી અથવા શારીરિક ઈજા પહોંચાડી શકે તેવું કોઈપણ સાધન, કોઈપણ ક્ષયકારી અથવા સ્ફોટક દારૂગોળો વગેરે પદાર્થો સાથે રાખવા કે લઈ જવા નહીં, પથ્થરો અથવા ફેંકીને ઈજા પહોંચાડી શકાય કે સંપત્તિને નુકસાન કરી શકાય તેવી વસ્તુઓ કે ફેંકવાના/ધકેલવાના યંત્રો સાથે રાખવા નહીં, માનવ, માનવ શબ કે માનવ આકૃતિઓ કે પૂતળાં દેખાડવાં નહીં કે બાળવાં નહીં, અપમાન કરવાના કે જાહેર કરવાના ઈરાદાથી જાહેરમાં વિભત્સ સૂત્રો પોકારવા નહીં, ગીતો ગાવાં નહીં અને ટોળાંમાં ફરકવું નહીં અને પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ તથા એમ.પી. શાહ મ્યુનિસિપલ ટાઉન હોલમાં નહીં પ્રવેશવાનો આવી તમામ પ્રવૃતિ પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વિમલ ચૌધરી દ્વારા નિયંત્રણ લાદવામાં આવ્યા છે.
આ જાહેરનામાનાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ- ૩૭ (૧) મુજબ ઓછામાં ઓછી ૪ મહિના અને વધુમાં વધુ ૧ વર્ષ સુધીની કેદ તથા દંડની સજા કરવામાં આવશે.
આ જાહેરનામામાં ફરજ પરના સરકારી અધિકારી/કર્મચારીઓ, હોમગાર્ડ્ઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો ફરજ બજાવનાર, શારીરિક અશક્તિના કારણે લાઠી રાખવાની પરવાનગી મેળવેલ વ્યક્તિઓ, પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓ, લગ્ન પ્રસંગે તલવાર રાખનાર વરરાજા તથા યજ્ઞોપવીત આપતું હોઈ તેવા બડવાઓને દંડ રાખેલ હોય, પોલીસ અધિક્ષક કે સક્ષમ અધિકારીની કાયદેસરની પરવાનગી ધરાવતી વ્યક્તિઓ અને કિરપાણ ધારણ કરનાર શીખ ધર્મીઓને આ સજાની જોગવાઈ લાગુ પડસે નહીં તેમ જાહેરનામામાં જણાવાયું છે.