જામનગર જિલ્લામાં આગામી તહેવારોને અનુલક્ષીને હથિયારબંધી જાહેર કરવામાં આવી
આગામી દિવસોમાં ચેટીચાંદ, રમજાન ઈદ, રામ નવમી, મહાવીર જન્મ કલ્યાણ, ગુડ ફ્રાઈડેના તહેવાર આવતા હોય જેને અનુલક્ષીને જામનગર જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ (ઈ.ચા.)એસ.એમ.કાથડ, જામનગર દ્વારા સમગ્ર જિલ્લામાં આગામી તા.૦૪-૦૪-૨૦૨૬ સુધી હથિયારબંધી ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
જાહેરનામા મુજબ કોઇપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી તેમજ શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો, પથ્થરો અને ફેંકી શકાય તેવી વસ્તુઓ, ધકેલવાના યંત્રો, મનુષ્ય અથવા તેના શબ, આકૃતિઓ કે પૂતળાં દેખાડવા કે બાળવા, અપમાન કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બીભત્સ સૂત્રો પોકારવા, ગીતો ગાવા, ટોળામાં ફરવું, પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ, સિનેમા હોલ અને એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલમાં પ્રવેશ કરવો- આવી તમામ પ્રવૃતિઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આ જાહેરનામાંનો ભંગ કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ની કલમ- ૧૩૫(૧) મુજબ દંડની સજા, ઓછામાં ઓછાં ૪ મહિનાની અને વધુમાં વધુ ૧ વર્ષની કેદની સજા થશે.
જાહેરનામું ફરજ પરના હાજર અધિકારીશ્રીઓ, કર્મચારીઓ, હોમ ગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો જેઓને ફરજ નિમિત્તે હથિયાર રાખવાની આવશ્યકતા હોય, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ જેઓ હથિયાર ધરાવતા હોય, શારીરિક અશકિતને કારણે લાઠી રાખવાની પરવાનગી હોય, પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રીથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓ, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજા, યજ્ઞોપવિત અપાતું હોય તેવા બડવાઓએ દંડ રાખેલ હોય, પોલીસ અધિક્ષક અથવા તેમણે નિયુક્ત કરેલા અધિકારીની કાયદેસરની પરવાનગી મેળવેલ હોય અને કિરપાણ રાખેલ શીખને લાગુ પડશે નહિ.