ખંભાળીયાના ગુનામાં પકડાયેલા ૮૬ વાહનોની હરરાજી: રૂ. ૭.૧૮ લાખ સરકારમાં જમા
નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાની સૂચના મુજબ, નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલની અધ્યક્ષતા હેઠળ ખંભાળીયા ડિવિઝનના વિવિધ પોલીસ સ્ટેશનોમાં કબ્જે કરાયેલા વાહનોની જાહેર હરાજીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળીયા, ભાણવડ, સલાયા મરીન અને વાડીનાર મરીન પોલીસ સ્ટેશન ખાતે ગુન્હાના કામે, બિનવારસુ હાલતમાં તેમજ એમ.વી. એક્ટ કલમ ૨૦૭ મુજબ કબ્જે કરવામાં આવેલા વાહનોના માલિકોને વારંવાર નોટિસો પાઠવવા છતાં કોઈ વાહન છોડાવવા આવ્યું ન હતું. લાંબા સમયથી પડી રહેલા આ વાહનો ખરાબ થઈ રહ્યા હતા અને પોલીસ સ્ટેશનમાં જગ્યા રોકાતી હતી. આથી વાહન હરાજી કમિટી બનાવીને તા. ૧૯/૦૭/૨૦૨૬ ના રોજ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર મળીને કુલ ૮૬ વાહનોની અપસેટ વેલ્યુ નક્કી કરી હરાજી યોજવામાં આવી હતી. આ હરાજી થકી ઉપજેલી કુલ રૂપિયા ૭,૧૮,૦૦૦ ની રકમ સરકારમાં જમા કરાવવામાં આવી છે. આ કામગીરીમાં નાયબ પોલીસ અધિક્ષક મીત રૂદલાલ સાથે ભાણવડ, ખંભાળીયા, સલાયા મરીન, વાડીનાર અને એમ.ટી.ઓ. વિભાગના પોલીસ ઇન્સપેક્ટરો તથા અન્ય એ.એસ.આઈ. અને હેડ કોન્સ્ટેબલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી.