જામનગર જિલ્લામાં ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ: ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે
જામનગર મહાનગરપાલિકા વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં ઉંદર પકડવા માટે વપરાતી ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ તેમજ ઉપયોગ કરવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.જામનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. એમ. કાથડ દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ અધિકૃત જાહેરનામું બહાર પાડીને ચુસ્ત મનાઈ હુકમ ફરમાવવામાં આવ્યો છે.
આ જાહેરનામું તા. ૨૩/૦૫/૨૦૨૬ થી તા. ૨૨/૦૭/૨૦૨૬ સુધીના બે માસના સમયગાળા દરમિયાન સમગ્ર જામનગર જિલ્લામાં અમલી રહેશે. જામનગર જિલ્લા પંચાયતના મદદનીશ પશુપાલન નિયામકની દરખાસ્ત અને નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્દેશોને ધ્યાને રાખીને લોકહિત તથા પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા અટકાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની જોગવાઈઓનો ચુસ્તપણે અમલ કરવા આદેશ કરાયો છે અને કોઈ પણ જીવને બિનજરૂરી પીડા કે વેદના ન થાય તે સુનિશ્ચિત કરવા વખતોવખત સૂચનાઓ આપવામાં આવી છે. સામાન્ય રીતે ગ્લુ ટ્રેપની ચીકણી સપાટી પર જ્યારે કોઈ ઉંદર કે અન્ય નાનું પ્રાણી ફસાય છે, ત્યારે તે પોતાની જાતે મુક્ત થઈ શકતું નથી, પરિણામે તે ડીહાઈડ્રેશન, ભૂખમરો અને ગુંગળામણને કારણે અત્યંત કષ્ટદાયક અને પીડાદાયક મૃત્યુ પામે છે, જે જીવદયા અને કાયદાની દ્રષ્ટિએ ગંભીર બાબત હોઈ મદદનીશ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત જામનગરની દરખાસ્તના આધારે આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ જાહેરનામાના નિયમોનો ભંગ કરનાર કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.