દેશભરમાં વાહન માલિકીની તબદીલી અને નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ-NOC મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને સરળ બનાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા પરિવહન પોર્ટલ પર એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. આ નવી વ્યવસ્થા અંતર્ગત હવે વાહનની માલિકી ફેરફાર અને અન્ય રાજ્યોમાં વાહન તબદીલ કરવાના કિસ્સામાં પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં આ નિર્ણયનો અમલ તા. ૧૫ જુલાઈ ૨૦૨૬થી કરી દેવામાં આવ્યો છે.
વાહન ધરાવતા તમામ નાગરિકોને વાહન રેકોર્ડ અને આધાર કાર્ડના રેકોર્ડમાં કોઈપણ પ્રકારની વિસંગતતા કે સમસ્યા સર્જાય નહીં તેવા હેતુથી આ બે મહત્વપૂર્ણ સેવાઓમાં સુધારો કરાયો છે. આ પ્રક્રિયા અંતર્ગત દરેક અરજદારે પોતાના આધાર કાર્ડની વિગતો પરિવહન પોર્ટલ પર દાખલ કરવાની રહેશે. જો આધાર કાર્ડની વિગતો સંપૂર્ણ મેચ હશે તો જ વાહન માલિકી બદલવાની પ્રક્રિયા ઓનલાઈન માધ્યમથી પૂર્ણ થઈ શકશે.
આધાર કાર્ડ અને પરિવહન પોર્ટલની વિગતોમાં કોઈ તફાવત જણાશે તો અરજદારે પોતાના ડ્રાઈવિંગ લાયસન્સની વિગતો દાખલ કર્યા બાદ જ આ પ્રક્રિયા આગળ વધશે. આ ઉપરાંત જો આરસી બુક અને ડ્રાઈવિંગ લાયસન્સની વિગતોમાં પણ કોઈ વિસંગતતા હોય તો તેવા કિસ્સામાં અરજદારે જરૂરી આધાર-પુરાવા સાથે સંબંધિત આર.ટી.ઓ. કચેરીએ રૂબરૂ જઈને જ પ્રક્રિયા પૂર્ણ કરાવવાની રહેશે.
આ નવી ઓનલાઈન આધાર વેરિફિકેશન પ્રક્રિયાથી વાહનોની તબદીલીમાં ઝડપ અને સરળતા આવશે. આ સાથે જ વાહન માલિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે અને ભવિષ્યમાં થતી છેતરપિંડી કે અનધિકૃત વાહન ટ્રાન્સફર જેવા ગુનાઓ અટકાવી શકાશે.