દ્વારકાની ગોમતી નદીના જોખમી પ્રથમ ત્રણ ઘાટ નજીક ન્હાવા પર પ્રતિબંધ
ગોમતી ઘાટ પર વૃધ્ધ તણાયાની ઘટના બાદ તંત્ર એકશનમાં: સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
યાત્રાધામ દ્વારકાના ગોમતી ઘાટ પર તાજેતરમાં પાણીના વહેણમાં એક વૃધ્ધ તણાયાના વાયરલ બનેલ વીડીયો બાદ સ્થાનીક વહીવટી તંત્ર તાત્કાલીક હરકતમાં આવી ગયું છે. યાત્રીકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી તંત્ર દ્વારા મહત્વના પગલા ભરવામાં આવ્યા છે.
ગોમતી નદી પરના જૂના ૧૬ ઘાટો પૈકી શઆતનાં ત્રણ ઘાટ અત્યંત જોખમી ગણાતા હોય વહીવટી તંત્ર દ્વારા આ ત્રણેય ઘાટ પર યાત્રીકોના નહાવા પર તાત્કાલીક અસરથી પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. ભવિષ્યમાં આવી કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે અને દેશ-વિદેશથી આવતા યાત્રાળુઓ સુરક્ષિત રહે તે માટે તંત્ર દ્વારા પ્રથમ ત્રણ જોખમી ઘાટ પર મજબૂત દોડાઓ બાંધી આડસ ઊભી કરી દેવામાં આવી છે.
આ સાથે જ ઘાટ પર પૂરતી તકેદારીના ભાગરૂપે પોલીસ અને ફાયર વિભાગની ટીમને પણ તહેનાત કરી દેવામાં આવી છે. આ સાથે સ્થાનીક તંત્ર દ્વારા દ્વારકા આવતા તમામ શ્રધ્ધાળુઓને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરી જોખમી ઘાટ પર નાહવાનું સાહસ ન ખેડવા અપીલ કરવામાં આવી છે.