કાળઝાળ ગરમીમાં ગૌસેવાનો નવતર પ્રયોગ
ભાનુ કેશરી સેના-મંદિર પુન: નિર્માણ સમિતિ દ્વારા ગૌમાતાને તરબૂચનો ભોગ
સમગ્ર રાજ્યમાં અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમી અને અસહ્ય તાપમાનનો સામનો બધા લોકો તેમજ પશુ પંખીઓ કરી રહ્યા છે, માણસો તો ગરમીમાંથી રાહત મેળવવા કોઈ ને કોઈ ઉપાય કરી લે છે પરંતુ મૂંગા પશુઓ સૂર્યદેવના આકરા તાપને સહન કરી રહ્યા છે. વધતા જતા તાપમાનમાં ગૌમાતાને પણ ગરમીની આકરી અસર અનુભવાતી હોય છે.
ત્યારે આ પરિસ્થિતિમાં ગૌમાતાને ગરમીથી રાહત અપાવવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે ભાનુ કેસરી સેના અને મંદિર પુન: નિર્માણ સમિતિ દ્વારા એક ખૂબ જ સરાહનીય સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. આ સેવા કાર્ય અંતર્ગત શ્રી ગિરધારી ગૌશાળા ખાતે ગૌમાતાઓને કુદરતી રીતે ઠંડક મળી રહે તે માટે તરબૂચનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.
આ સમગ્ર સેવા કાર્યનું આયોજન અને સંચાલન ભૈરવ ચાંદ્રા, ધરમ ચંદારાણા, અમિતભાઈ હરવરા તથા દીપકભાઈ ખીચડાની પ્રેરક અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ઉનાળાના આ દિવસોમાં ગૌમાતાના સ્વાસ્થ્યની ચિંતા કરીને, આ તમામ સેવાભાવી અગ્રણીઓએ ગૌશાળામાં રહેલી ગાયોને તરબૂચ ખવડાવી તેમને શીતળતા મળી રહે તેવો સુંદર પ્રયાસ કર્યો હતો.
આ સેવા યજ્ઞમાં ભાવેશભાઈ ગજરા, નીતિનભાઈ ગોરી, ભવ્ય ચાંન્દ્રા સહિત સમિતિના અન્ય કાર્યકર્તા ભાઈઓએ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાઈને પોતાનું યોગદાન આપ્યું હતું. કાળઝાળ ગરમીમાં મૂંગા પશુઓની પીડાને સમજીને કરવામાં આવેલી આ સેવાકીય કામગીરીની સ્થાનિક સ્તરે ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે, અને ગૌસેવાનું આ કાર્ય અન્ય લોકો માટે પણ નિશ્ચિતપણે પ્રેરણારૂપ બની રહ્યું છે.