લતીપુરમાં જમીન પચાવી પાડવા અંગે ખોટો સોગંદનામુ કરનાર સાવકી પુત્રી અને ધ્રોળના વકીલ સામે ગુનો નોંધાવાતાં ભારે ચકચાર

  • April 15, 2024 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લતીપર ગામમાં આવેલી એક મહિલાની જમીન કે જેનું ખોટું સોગંધનામું તૈયાર કરી જમીનનો કબ્જો કરવા માટે ધ્રોલની મામલતદાર કચેરીમાં રજૂ કરનાર સાવકી પુત્રી અને ધ્રોળના એક વકીલ સામે ફરિયાદ નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે.


આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે ધ્રોલ તાલુકાના લતીપુરમાં આવેલી એક જમીન કે જેની માલિકી જોડિયા તાલુકાના ભાદરા ગામમાં રહેતા મધુબેન ઉર્ફે અરુણાબેન વિનોદભાઈ ભંડેરી ની માલિકીની છે, તે જગ્યા નો કબજો કરી લેવા માટે તેમજ તે જમીનમાં મધુબેન નો હક જતો કરવા માટેનું ખોટું સોગંદનામું તેની સાવકી પુત્રી જામનગરમાં રહેતી દર્શિતાબેન વિનોદભાઈ ભંડેરી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં ધ્રોળના એડવોકેટ જતીન એચ. અનડકટ દ્વારા નોટરી કરીને મામલતદારની કચેરીમાં રજૂ કર્યું હતું.

તપાસ દરમિયાન મધુબેનને પોતાના નામનું ખોટું સોગંધનામું થયું હોવાનું માલુમ પડતાં ધ્રોળ મામલતદાર કચેરીનો સંપર્ક સાધ્યો હતો, અને ત્યારબાદ ધ્રોલ પોલીસ મથકમાં પોતાની પુત્રી દર્શીતા ભંડેરી અને તેમાં મદદગારી કરનાર એડવોકેટ ધ્રોળના જતીન એચ અનડકટ સામે ફરિયાદ નોંધાવતાં ધ્રોળ પોલીસે વકીલ સહિત બંને આરોપી સામે આઈપીસી કલમ ૪૬૫,૪૬૭,૫૬૮,૪૭૧ અને ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ફરિયાદ ને લઈને ધ્રોળ પંથકમાં અને ખાસ કરીને વકીલ મંડળમાં ભારે ચકચાર જાગી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application