વાડીનાર નજીક ઝાંખર પાટિયા ખાતેથી રાષ્ટ્રીય સુરક્ષા અને એકતાના સંદેશને પ્રસરાવતી સાયકલોથોનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું
વાડીનાર નજીક ઝાંખર પાટિયા ખાતેથી રાષ્ટ્રીય સુરક્ષા અને એકતાના સંદેશને પ્રસરાવતી સાયકલોથોનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું
February 02, 2026 09:53 AM
કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) દ્વારા રાષ્ટ્રીય સલામતી અને એકતાના સંદેશ અને સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત થીમ સાથે આયોજિત “વંદે માતરમ કોસ્ટલ સાયકલોથોન-૨૦૨૬”નું આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઝાંખર પાટિયા ખાતેથી લીલીઝંડી આપી ફલેગઓફ કરવામાં આવ્યું હતું.
આ તકે આયોજિત કાર્યક્રમમાં CISF યુનિટના જવાનો દ્વારા સાયકલ યાત્રીઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનોએ આ સાયકલ યાત્રાને ઢોલના નાદ સાથે વધાવી હતી.
ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ કિનારાની આ ટીમે ૨૮ જાન્યુઆરીએ કચ્છના ઐતિહાસિક લખપત કિલ્લાથી પ્રસ્થાન કર્યું હતું. આશરે ૬,૫૦૦ કિમી લાંબી આ યાત્રામાં કુલ ૧૩૦ જેટલા સાયકલોવીરો કે જેમાં ૫૦ ટકા જેટલી મહિલા સાયકલોવીરોની ભાગીદારીએ ‘સ્ત્રીશક્તિ’નું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
ભારતની દરિયાઈ સીમાઓની સુરક્ષામાં CISFની ભૂમિકા અત્યંત મહત્વની છે. આ સાયકલોથોનનો મુખ્ય આશય સમુદ્ર તટીય વિસ્તારોમાં માછીમારો અને યુવાનોમાં જાગૃતિ લાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવાનો છે.
આ તકે ડેપ્યુટી કમાન્ડન્ટ સંદીપ ચક્રવતી, ડેપ્યુટી કમાન્ડન્ટ અર્ચિત ખેતાન, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પ્રવીણ કુમાર, સ્થાનિક અગ્રણી સિદ્ધરાજસિંહ જાડેજા, કેસરજી ચુડાસમા સહિત સ્થાનિક ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.