માવઠાના મારથી હતાહત થયેલ ખેડુતો માટે ૧૫ હજાર કરોડનું પેકેજ જાહેર કરવા માંગ
સમગ્ર રાજયમાં દિવાળી બાદ પડેલ માવઠાના કારણે ઉભા પાકનો સોથ વળી ગયો છે અને ખેડુતોના મોંમાં આવેલો કોળીયો રીતસરનો જુટવાઇ જવા પામ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખ વશરામભાઇ રાઠોડએ રાજયાના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને ખેડુતોના તૈયાર પાકને થયેલ નુકશાનીનું ૧૫ હજાર કરોડનું પેકેજ જામનગર જીલ્લા માટે જાહેર કરવા માંગ કરી છે.
વિસ્તૃત પત્રમાં જણાવ્યુ છે કે સમગ્ર રાજય સહિત જામનગર જીલ્લામાં પણ કમોસમી વરસાદથી ખેડુતોને ખુબ જ આર્થિક નુકશાન થવા પામ્યુ છે માવઠાના કારણે કપાસ, મગફળી, સોયાબીન, તલ, જુવાર, બાજરો તેમજ બાગાયતી પાકને ખુબ જ મોટા પ્રમાણમાં નુકશાન થવા પામ્યુ છે ખાસ કરીને જામનગર જીલ્લામાં ઓણસાલ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયેલ છે આ મગફળીના લણણીના સમયે જ માવઠુ પડવાથી મગફળીના પાથરા રૂપે ખેતરમાં પડેલ હોવાથી મગફળી સંપૂર્ણ નાશ પામેલ છે.
વરસાદના કારણે આ મગફળીમાં ફુગ લાગી ગયેલ છે. હાલમાં ખેડુતને વીઘા દીઠ ૧૨૦૦૦ રૂપિયા કરતા વધારે નુકશાન થવા પામેલ છે અને ખેડુતની હાલત કફોડી થવા પામી છે તેથી જામનગર જીલ્લાને ૧૫ હજાર કરોડનું પેકેજ જાહેર કરવા માંગ કરી છે. વધુમાં તેમણે પત્રમાં જણાવ્યુ છે કે ૧૫ હજાર કરોડના પેકેજની સાથોસાથ ખેડુતોના તમામ ધીરાણો અને લોન માફ કરો અને સરવે રૂપી ખોટા નાટકો બંધ કરી તાત્કાલિક સહાયરૂપી પેકેજ જાહેર કરવા અપીલ કરી છે.