ખંભાળીયામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયાનું બહાર આવતા શોકની લાગણી ફેલાઇ ગઇ છે, નિંદ્રા અવસ્થામાં જ વિપ્ર યુવાનનો ભોગ લેવાયો હતો.
ખંભાળિયામાં શાક માર્કેટની બાજુમાં રહેતા ગૌરાંગભાઈ શૈલેષભાઈ જોશી નામના ૪૩ વર્ષના વિપ્ર યુવાન બુધવારે રાત્રિના સમયે સુતા હતા, ત્યાર બાદ ગઈકાલે ગુરુવારે સવારના તેમને ઉઠાડવામાં આવતા તેઓ ઉઠ્યા ન હતા.
આમ, તેમને રાત્રિના સમયે હૃદયરોગનો જીવલેણ હુમલો આવી જતા નિંદ્રાધીન અવસ્થામાં જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના માતા નયનાબેન શૈલેષભાઈ રામદાસભાઈ જોશી (ઉ.વ. ૭૩)એ અહીંની પોલીસને કરી છે. આ બનાવે બ્રહ્મ સમાજમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.
છેલ્લા થોડા સમયથી યુવા વર્ગમાં હૃદયરોગના જીવલેણ હુમલાના બનાવો ચિંતાજનક રીતે વધી રહયા છે, ગત મહીનામાં દ્વારકા અને જામનગર જીલ્લામાં હાર્ટના હુમલાના બનાવો સામે આવ્યા હતા, દરમ્યાન ખંભાળીયા પંથકમાં એક વિપ્ર યુવાન રાત્રીના સુઇ ગયા બાદ, સવારે ન ઉઠતા નિંદ્રા અવસ્થામાં જ હૃદય બંધ પડી જતા મૃત્યુને ભેટયો હતો, આ બનાવે શોકની લાગણી ફેલાવી છે.