ગઇકાલે શુભ મુર્હુતમાં કેટલાક વેપારીઓએ પોતાના ચોપડા મંદિરમાં લઇ જઇને પુજન કર્યુ હતું અને કેટલાકે તો લેપટોપ, કોમ્પ્યુટર, ટેબલેટ અને ટેબલનું પણ પુજન કર્યુ હતું, વેપાર-ધંધામાં સફળતા અને આર્થિક સઘ્ધરતા માટે માતા લક્ષ્મીજી, ગણેશજી અને સરસ્વતી માતાને પ્રાર્થના કરી હતી. ત્યારબાદ પ્રસાદ વેંચીને ફટાકડાની ધુમ મચાવી હતી.

આવતીકાલે કેટલાક મંદિરોમાં અન્નકુટ દર્શન પણ યોજાયો છે, મંદિરોને ફુલહાર, પુજા સામગ્રી અને રોશનીથી શણગારવામાં આવ્યા છે. હવે વેપારીઓ ગઇકાલે પુજન કર્યા બાદ રવિવારે એટલે કે લાભ-પાંચમના દિવસે મુર્હુતમાં માલની વેંચણી કરી લેવડ-દેવડ કરશે અને સોમવારથી રાબેતા મુજબ જામનગરમાં ધંધા-રોજગાર શરૂ થઇ જશે.
જામનગર બ્રાસનું હબ કહેવાય છે, વેપારીઓએ ચોપડા પુજન કર્યુ હતું અને ત્યારબાદ મીઠાઇ પણ વેંચી હતી, હવે લાભપાંચમના શુભ મુર્હુતમાં જામનગરના ૫ હજારથી વધુ બ્રાસના કારખાના ખુલશે ત્યારબાદ જીઆઇડીસી ૧ થી ૩ અને ઉદ્યોગનગર બંધ રહેશે. ધનતેરસ અને દિવાળીના દિવસે સોનાના ભાવ સવા લાખની ઉપર થઇ જતાં સોનાની બજારમાં નરમાઇ જોવા મળી હતી. લાંબા સમય બાદ આ વર્ષે સોનુ જોઇએ તેટલું વેંચાયું ન હતું, માત્ર ૧૦ થી ૧૫ ટકા જ સોનાનો વેપાર થયો હતો.
આમ તો છેલ્લા ત્રણ-ચાર દિવસથી ચોપડા ખરીદવા વેપારીઓએ પડાપડી કરી હતી, રોજમેળો, ખાતાવહી, સાદી બુક, બેલેન્સ સીટ બુકની ખરીદી કરીને ગઇકાલે ચોપડામાં સવા, લક્ષ્મીજી અમારૂ કલ્યાણ કરજો એવા અક્ષરો લખીને સાથીયો દોરીને ચોપડાનું પુજન કરી નમન કર્યુ હતું. મોટેભાગે ખાતાવહી અને એન્ટ્રી વેપારીઓ કોમ્પ્યુટરમાં જ કરે છે, પરંતુ કોમ્પ્યુટર યુગની વચ્ચે પણ હજુ વડવાઓની સુચનાથી મુર્હુત સાચવવા દુકાનના બારણા ઉપર લાભ-શુભ લખીને આસોપાલવના પાનનું તોરણ પણ બાંધે છે અને વેપારીઓ પણ આજુબાજુમાં અરસપરસ શુભેચ્છા પાઠવે છે, સગા-સંબંધીઓ પણ આ ચોપડા પુજનમાં ભાગ લે છે.
ગઇકાલે માત્ર દોઢેક કલાક સુધી સાંજે ચોપડા પુજનનું મુર્હુત હોય જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વેપારીઓએ ચોપડા પુજન કર્યુ હતું, કાલાવડ, લાલપુર, ભાણવડ, જામજોધપુર, કલ્યાણપુર, ભાટીયા, ખંભાળીયા, દ્વારકા, સલાયા, ફલ્લા, જામરાવલ, ધ્રોલ, જોડીયા સહિતના ગામોમાં પણ ગઇકાલે સાંજના સમયે વેપારીઓએ પુજન વિધિમાં ભાગ લીધો હતો. આમ કોમ્પ્યુટરના યુગ વચ્ચે પણ વેપારીઓ ચોપડા પુજન કરી રહ્યા છે.