જામનગર: બેડેશ્ર્વરની અલરઝા આઈસ ફેકટરીના સંચાલકને ૧.૭૨ કરોડનો પાવરચોરીના કેસમાં દંડ
પાવરચોરી અંગેના કેસમાં સ્પેશ્યલ કોર્ટનો મહત્વનો ચુકાદો
ઉપરોકત કેસની ટુંકમાં હકીકત એવા પ્રકારની છે કે ગત તા. ૨૮/૧૧/૨૦૨૩ ના રોજ ચેકીંગ અધિકારી એસ. આર. વડનગરા અને તેના સ્ટાફ ધ્વારા પટેલ કોલોની સબ ડીવીઝન હેઠળ આવતાં બેડેશ્વરમાં અલરઝા આઈસ ફેકટરીમાં હમીદ હુશેનભાઈ ગજણની હાજરીમાં વીજકનેકશન ચેક કરતાં તેઓ ધ્વારા તેઓ ધ્વારા ડાયરેકટ બીનઅધિકૃત રીતે પાવરચોરી કરતાં રંગે હાથે પકડાય ગયેલ જેથી ચેકીંગ અધિકારી ધ્વારા સ્થળ પર ચેકીંગશીટ, સ્થળ રોજકામ અને એનેક્ષર- ૪ તૈયાર કરવામાં આવેલ ત્યારબાદ ફરીયાદી સંદીપ ધીરજલાલ પરમાર કે જેઓ પટેલ કોલોની સબ ડીવીઝનમાં નાયબ ઈજનેર તરીકે ફરજ બજાવતા હતા તેઓએ આ કામના આરોપી હમીદ હુશેનભાઈ ગજણ વિરૂધ્ધ જીયુવીએનએલ પો. સ્ટે. માં રૂ. ૫૭,૪૯,૬૯૩.૨૫ ની વિજચોરી અંગે ઈન્ડીયન ઈલેકટ્રીસીટી એકટની કલમ ૧૩૫ મુજબની ફરીયાદ દાખલ કરેલ ત્યારબાદ સ્પે. કોર્ટમાં કેસ ચાલવા ઉપર આવતા સરકાર ધ્વારા કુલ - ૮ સાક્ષી અને ૨૦-દસ્તાવેજી પુરાવાઓ તપાસવામાં આવેલ હતા.
સરકાર તરફે સરકારી વકીલ હાજર થઈ એવી દલીલ કરેલ કે આરોપીની હાજરીમાં વીજ ચેકીંગ કરવામાં આવેલ છે અને હાલ ગુજરાતમાં પાવરચોરીના કેસ વધતા જાય છે જેથી આવા કેસો અટકે માટે આરોપીને સમાજમાં દાખલો બેસે તેવી સજા કરવી જોઈએ એવી ભારપૂર્વક દલીલ કરતાં સરકારી વકીલની દલીલો ધ્યાને લઈ સ્પે. જજ વી. પી. અગ્રવાલ દ્વારા આરોપીને હમીદ હુશેનભાઈ ગજણને રૂ. ૧,૭૨,૪૯,૦૭૯ એટલે કે પાવરચોરીની રકમ કરતા ત્રણ ગણો દંડ ફટકારેલ છે અને જો આરોપી ધ્વારા ૩૦ દિવસમાં દંડની રકમ જમા ન કરાવે તો તેને એક વર્ષની સજા ભોગવવાનો હુકમ કરેલ છે. ઉપરોક્ત કેસમાં સરકાર તરફે સરકારી વકીલ રાજેશ કે. વસીયર ઉપસ્થિત રહ્યાં હતાં.