જામનગર જિલ્લાની આખરી મતદારયાદી જાહેર
જિલ્લામાં ૨૧,૪૧૨ નવા નામ ઉમેરાયા, કુલ ૧૦.૮૫ લાખથી વધુ મતદારો નોંધાયા-જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી કેતન ઠક્કર
મતદાર પોતાનું નામ મતદારયાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરવા ચૂંટણી પંચના અધિકૃત પોર્ટલનો ઉપયોગ કરી શકશે
ભારતના ચૂંટણી આયોગ દ્વારા તા. ૨૭/૧૦/૨૦૨૫થી જાહેર કરાયેલ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ અંતર્ગત જામનગર જિલ્લાની આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી કેતન ઠક્કરે આ અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. ૦૧/૦૧/૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં હાથ ધરાયેલી આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૧૭/૦૨/૨૦૨૬ના રોજ આખરી મતદારયાદી જાહેર કરવામાં આવી છે.
રજૂ થયેલા હક્ક-દાવા અને વાંધાઓની સઘન સુનાવણી બાદ પ્રસિદ્ધ કરવામાં આવેલી આ યાદીમાં જિલ્લામાં કુલ ૧૦,૮૫,૦૩૨ મતદારોનો સમાવેશ થાય છે. જેમાં ૫,૬૧,૮૫૮ પુરુષો, ૫,૨૩,૧૬૧ મહિલાઓ અને ૧૩ અન્ય (ત્રીજી જાતિ)ના મતદારો નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે, મુસદ્દા મતદારયાદીની પ્રસિદ્ધિ બાદ હાથ ધરવામાં આવેલી ઝુંબેશ દરમિયાન કુલ ૨૧,૪૧૨ નવા મતદારોના નામ ઉમેરવામાં આવ્યા છે. આ ઉપરાંત સેવા મતદારોની પણ આખરી યાદી પ્રસિદ્ધ કરી દેવામાં આવી છે અને તેની નકલ માન્ય રાજકીય પક્ષોને સુપરત કરવામાં આવી છે.
વિધાનસભા મતદાર વિભાગવાર વિગતવાર આંકડા
જિલ્લાના પાંચેય વિધાનસભા વિસ્તારોમાં મતદારોનું વિભાજન જોતા, ૭૬-કાલાવડ (અ.જા.) બેઠક પર ૨,૧૨,૮૪૫, ૭૭-જામનગર (ગ્રામ્ય)માં ૨,૩૬,૯૧૯, ૭૮-જામનગર (ઉત્તર)માં ૨,૩૧,૭૯૫, ૭૯-જામનગર (દક્ષિણ)માં ૧,૯૦,૪૯૮ અને ૮૦-જામજોધપુર બેઠક પર ૨,૧૨,૯૭૫ મતદારો નોંધાયા છે.
કલેકટરશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈપણ મતદાર પોતાનું નામ મતદારયાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરવા માટે ચૂંટણી પંચના અધિકૃત પોર્ટલ https://electoralsearch.eci.gov.in/ નો ઉપયોગ કરી શકે છે. જો કોઈ મતદાર નોંધણી અધિકારીના હુકમથી સંતુષ્ટ ન હોય, તો તેઓ હુકમની તારીખથી ૧૫ દિવસની મર્યાદામાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટરશ્રીને રૂબરૂ અથવા https://voters.eci.gov.in/ પર ઓનલાઈન અપીલ કરી શકશે.