જામનગર નજીક ચાચા-ભતીજા રેસ્ટોરન્ટના કિચનમાં ભીષણ આગ
લોકોમાં દોડધામ મચી: ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો
જામનગર નજીક ખંભાળીયા બાયપાસ રોડ પર આવેલા ચાચા-ભતીજા રેસ્ટોરન્ટના કિચન વિભાગમાં ગઇકાલે બપોરના સુમારે અચાનક આગ ભભૂકી ઊઠતાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાને કરવામાં આવતા ફાયર વિભાગની બે ટીમો ફાયર ફાઇટરો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. પવનના કારણે આગ વધુ ફેલાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી, છતાં ફાયર કર્મચારીઓની ઝડપી અને અસરકારક કામગીરીના કારણે આગને સમયસર કાબૂમાં લઈ લેવામાં સફળતા મળી હતી. ઝડપી કાર્યવાહીથી મોટું નુકસાન અટક્યું હતું.
આગ કિચન વિસ્તારમાં જ મર્યાદિત રહી હોવાથી અને ફાયર બ્રિગેડે સમયસર કામગીરી હાથ ધરતા આગ રેસ્ટોરન્ટના અન્ય ભાગોમાં પ્રસરે તે પહેલાં જ તેને બુઝાવી દેવામાં આવી હતી. જેના કારણે સંભવિત મોટું નુકસાન ટળી ગયું હતું. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.