દ્વારકા: દેવળીયા ગામના બેતાલીસ વર્ષીય યુવાનનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ
નાની વયે હાર્ટએટેકના વધી રહેલા બનાવો ચિંતાજનક
દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકના દેવળીયા ગામમાં ૪૨ વર્ષના યુવાનનું હૃદયરોગના જીવલેણ હુમલાનો બનાવ સામે આવતા શોકનુ મોજુ પ્રસરી ગયુ છે.
કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા મેરામણભાઈ ચનાભાઈ માડમ નામના ૪૨ વર્ષના યુવાન ગુરુવારે રાત્રિના સમયે ગામની ગૌશાળા ખાતે સુવા ગયા હતા. જ્યાં તેમને હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ રાજુભાઈ ચનાભાઈ માડમએ કલ્યાણપુર પોલીસને કરી છે.
જામનગર, દ્વારકા સહિતના જીલ્લામાં છેલ્લા કેટલાય સમયથી યુવા વર્ગમાં હાર્ટએટેકના બનાવોનું પ્રમાણ વઘ્યુ છે તાજેતરમાં ૧૨ વર્ષની બાળકી, ૪૫ વર્ષના યુવાન અને અન્ય એક યુવાનના અચાનક હૃદય બંધ પડી જવાથી મૃત્યુ થયાના બનાવો તાજા છે ત્યાં દેવળીયામાં વધુ એક યુવાન મોતને ભેટયો છે. આમ ટુંકાગાળામાં યુવા વર્ગમાં હૃદયરોગના ઘાતક હુમલાના બનાવો એક પછી એક સામે આવતા ચિંતાની લાગણી જન્મી છે.