કાલાવડના બાંગા ગામમાં મકાનમાંથી સોના-ચાંદીના દાગીનાની ચોરી
કાલાવડના બાંગા ગામમાં બંધ રહેલા મકાનમાં તાળા તોડીને ત્રાટકેલા તસ્કરો સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી ૪૨૫૦૦નો મુદામાલ ચોરી કરી ગયાનો મામલો સામે આવતા ફરીયાદ કરવામાં આવી છે, જેના આધારે તપાસ હાથ ધરી છે.
રાજકોટ શાસ્ત્રીનગર-૭ ખાતે રહેતા વેપાર કરતા અને મુળ કાલાવડના બાંગા ગામના વતની રમેશ મુળુભાઇ મયડ (ઉ.વ.૪૦) નામના યુવાને અજાણ્યા શખ્સો વિરુઘ્ધ ગ્રામ્ય પોલીસમાં ચોરી કરી ગયાની ફરીયાદ નોંધાવી છે, વિગત અનુસાર ફરીયાદીના બાંગા ગામે આવેલ રહેણાંક મકાનમાં ગત તા. ૧૬-૨-૨૬ સવારના ૧૦ થી ૧૯-૨-૨૬ બપોરના ૧૨ વાગ્યાના કોઇપણ સમયગાળામાં દિવાલ ઓેળંગીને રૂમના તાળા તોડી અજાણ્યા શખ્સો અંદર ત્રાટકયા હતા.
દરમ્યાન જુની પેટીમાંથી સોનાની બુંટી, કાનનો સોનાનો દાણો, તુટેલી બુટી, ૨ જોડી ચાંદીના સાંકળા, ૧ જોડી ઝાંજરી, ૧૬ હજારની રોકડ મળી કુલ ૪૨૫૦૦નો મુદામાલ ચોરી કરી ગયા હતા. જે ફરીયાદના આધારે કાલાવડ ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, આ ચોરી પાછળ કોઇ જાણભેદુ હોવાની આશંકાઓ પણ દર્શાવવામાં આવી રહી છે આથી આ દિશામાં પણ તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.