જામનગર જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા મીલીપેડ ઇયળનો ઉપદ્રવ અટકાવવા માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ
જામનગર જિલ્લાના કેટલાક ગામોમાં મીલીપેડ ઈયળનો ઉપદ્રવ જોવા મળ્યો છે. સામાન્ય રીતે આ જીવાત માણસ જાત પશુ કે ખેતીના પાકોને નુકસાન કરતી નથી. પરંતુ વધારે ઉપદ્રવ હોય તો તેના નિયંત્રણ માટે ખેતીવાડી અધિકારી જામનગર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે.
માર્ગદર્શિકા મુજબ આ જીવાતનો ખોરાક કહેવાતા પદાર્થો છે. આ જીવાત ઘાસના ઢગલા, પાંદડાના ઢગલા, કચરો, કોહવાતા પદાર્થો, સડતા લાકડા વગેરે ઘરની આજુબાજુથી દૂર કરવા અથવા સળગાવી નાશ કરવો, ભેજ દૂર કરવો, ઘરના બારી બારણા બંધ રાખવા, તિરાડો કે કાણા પૂરી દેવા, ઘરની દીવાલોમાં ત્રણ ફૂટ સુધી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો, મીઠાના દ્રાવણનો છંટકાવ કરવો.
જો વધુ ઉપદ્રવ જણાય તો તાત્કાલિક નિયંત્રણ માટે સાયપર મેથ્રીન ૨૫ મિ.લી., ફ્લોરપાયરી ફોસ ૫૦ મિ.લી., કારટેપ હાઇડ્રોક્લોરાઇડ ૧૦ ગ્રામ આ ત્રણેય દવા ૧૫ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.