દ્વારકા ગોમતી નદીમાં ગેરકાયદે માછીમારી: ભકતજનોમાં રોષ
યાત્રાધામ દ્વારકામાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર માછીમારીની પ્રવૃતિ છાનેખુણે ધમધમી રહી છે, ત્યારે દ્વારકાવાસીઓને કાળીયા ઠાકોરના દર્શનાર્થે આવતા ભકતજનોમાં રોષની લાગણી વ્યાપી છે, એક તરફ ભકતજનો ગોમતીમાં સ્નાન કરીને માછલીઓને પુણ્ય કમાવવા માટે લોટ સહિતની સામગ્રી ખવડાવતા હોય છે, ત્યારે બીજી તરફ આ જ ગોમતી નદીમાં માછીમારી થતી હોવાથી ભકતજનોમાં નારાજગી પ્રવૃતિ રહી છે.
ગોમતી નદી સમુદ્ર સાથે જોડાયેલી હોય અહીં માછલીઓ વિપુલ માત્રામાં જોવા મળે છે, તીર્થ ક્ષેત્રમાં સ્થાનીક ઉપરાંત બહારગામના શ્રઘ્ધાળુઓ પણ માછલીઓને ચારો ખવડાવીને પુણ્ય પ્રાપ્ત કરે છે, જો કે ગોમતી નદીને એક તરફના ભાગે માછલીને ચારો મળે છે, જયારે બીજી તરફ આ માછલીઓ હલાલ થતી જોવા મળે છે. ગોમતી નદીની સામે આવેલ પંચકુઇ બીચ રાત્રી દરમ્યાન નિર્જન વિસ્તાર બની જતી હોય છે, અમુક તત્વો દ્વારા ગોમતી નદીના સામાકાંઠેના માછીમારી કરવા અવારનવાર જતાં જોવા મળે છે.
ગોમતી નદીમાં ફીસીંગ કરવા પર પ્રતિબંધ હોવા છતાં અને જાહેરનામુ પણ બહાર પાડયું હોવા છતાં તેની કડક રીતે અમલવારી થતી ન હોવાની લોકોમાં ફરિયાદ ઉઠવા પામી છે. ત્યારે આ બાબતે તાકીદે કાર્યવાહી થાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. મીડીયામાં માછીમારીના અહેવાલો પ્રસિઘ્ધ થયા બાદ પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.