સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬
જામનગર જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ સાથે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ
જિલ્લામાં ૨૬ એપ્રિલે મતદાન અને ૨૮ એપ્રિલે મતગણતરી યોજાશે: ૧૧ એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે
જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ ચૂંટણી અધિકારીઓની નિમણૂક સહિતની ચૂંટણીલક્ષી પ્રક્રિયાઓ પૂર્ણ કરાઈ
મહાનગરપાલિકા, પંચાયતો અને નગરપાલિકાના 9,88,807 જેટલા મતદારો નોંધાવશે મતાધિકાર
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, જેના પગલે જામનગર જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પી.બી.પંડ્યાના નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી તૈયારીઓમાં જોડાયું છે.જામનગર મહાનગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતો તેમજ નગરપાલિકા વિસ્તારો માટે ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરી દેવામાં આવી છે અને ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને વિશેષ તાલીમ પણ આપવામાં આવી રહી છે. આદર્શ આચારસંહિતાના સુચારુ અમલીકરણ માટે સંબંધિત અધિકારીઓએ પોતપોતાની કામગીરી વેગવંતી બનાવી દીધી છે.
કલેકટરશ્રી પી.બી.પંડ્યાએ પત્રકાર પરિષદ યોજી ચૂંટણી કાર્યક્રમ અંગેની વિગતો આપતા જણાવ્યું કે, જામનગર જિલ્લામાં આગામી તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને તા.૨૮ એપ્રિલના રોજ મતગણતરી યોજાશે. ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧૧ એપ્રિલ ૨૦૨૬ નિયત કરવામાં આવી છે, ત્યારબાદ તા.૧૩ એપ્રિલના રોજ ફોર્મની ચકાસણી થશે અને તા.૧૫ એપ્રિલ સુધીમાં ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. જો કોઈ અનિવાર્ય સંજોગોમાં પુનઃ મતદાનની જરૂરિયાત ઊભી થાય તો તે માટે તા.૨૭ એપ્રિલનો દિવસ અનામત રાખવામાં આવ્યો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાએ મતદારોના આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે, જામનગર મહાનગરપાલિકાના ૧૬ વોર્ડમાં કુલ ૪,૪૨,૮૨૯ મતદારો નોંધાયેલા છે, જેમના માટે ૪૧૪ મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં આવી છે. તેવી જ રીતે, જામનગર જિલ્લા પંચાયતની ૨૪ બેઠકો અને ૬ તાલુકા પંચાયતની કુલ ૧૧૨ બેઠકો માટે ૭૧૨ મતદાન મથકો પર ૫,૨૬,૫૬૯ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ ઉપરાંત, સિક્કા નગરપાલિકાના ૭ વોર્ડમાં ૨૨ મતદાન મથકો પર ૧૯,૪૦૯ મતદારો નોંધાયા છે.
કલેક્ટરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદારો સહભાગી બને તે હેતુથી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ જનજાગૃતિલક્ષી કાર્યક્રમો પણ હાથ ધરવામાં આવશે, જેથી ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે.