જામનગર: 27 ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી
એનસીસી કેડેટ્સમાં દેશભક્તિ અને કૃતજ્ઞતાની ભાવના કેળવવા માટે આ શૌર્યપૂર્ણ દિવસના ઉપલક્ષ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉજવણીની શરૂઆત ધ્વજવંદનથી થઈ, ત્યારબાદ ભારતીય સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને સન્માન આપવા માટે મૌન પાળવામાં આવ્યું. કેડેટ્સે આ દિવસની વિશેષતા અને ઓપરેશન સિંદૂર અંગેના ગૌરવપૂર્ણ પ્રયાસો અંગે ચિંતન કર્યું હતું.
રણમલ તળાવ પર આવેલા યુદ્ધ સ્મારક ખાતે પુષ્પાંજલિ સમારોહ યોજાયો હતો, જ્યાં વિવિધ ઓપરેશનોમાં દેશ માટે શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ભારતીય સંરક્ષણ દળોએ જે સટીકતાથી કોઈપણ જાનહાનિ વિના ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક પાર પાડ્યું હતું તે સેનાના પ્રશંસનીય કૌશલ્યને પ્રદર્શિત કરે છે.
યુનિટ લોકેશન ખાતે નિવૃત્ત સૈનિકો સાથે ખાસ સંવાદ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. નિવૃત્ત સૈનિકોએ હિંમત, બલિદાન અને કર્તવ્યના પોતાના અનુભવો વર્ણવ્યા અને દબાણ હેઠળ નેતૃત્વ તથા એનસીસીના સૂત્ર “એકતા અને અનુશાસન” ના મહત્વ પર ભાર મૂક્યો. સત્રના અંતે કેડેટ્સે નિવૃત્ત સૈનિકોનું સન્માન કર્યું.
ઓપરેશન સિંદૂર પરની દસ્તાવેજી ફિલ્મના પ્રદર્શન દ્વારા ભૂમિદળ, નૌકાદળ અને વાયુદળ વચ્ચેના સમન્વયને પ્રકાશિત કરવામાં આવ્યો. કેડેટ્સે ઓપરેશન સિંદૂરના દ્રશ્યો અને સશસ્ત્ર દળો પ્રત્યે કૃતજ્ઞતાના સંદેશા દર્શાવતા હસ્તનિર્મિત પોસ્ટરો પણ તૈયાર કર્યા.
27 ગુજરાત બટાલિયન એનસીસીના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ શોભા બી નાયરે જણાવ્યું હતું કે, “ઓપરેશન સિંદૂર આપણા માટે માત્ર ઇતિહાસ નથી. તે એક જીવંત પ્રેરણા છે. એનસીસી કેડેટ્સે અનુશાસન, નિઃસ્વાર્થ સેવા અને રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપવાની તત્પરતા દ્વારા આ ભાવનાને આગળ ધપાવવી જોઈએ.”
કાર્યક્રમોના અંતે કેડેટ્સે પ્રામાણિકતા, અનુશાસન અને સમર્પણ સાથે રાષ્ટ્રની સેવા કરવાના શપથ લીધા.