આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહયો છે તેમાં પણ છેલ્લા કેટલાક સમયથી કિશોરવયના બાળકો આત્મહત્યાઓ કરી રહયા છે, નજીવા કારણે મહામુલી જીંદગીનો સાથ છોડી રહયા છે, આવી જ એક વધુ ઘટના શહેરમાં બની છે અને માતાના નાનકડા ઠપકાના કારણે તરૂણીએ જીંદગીનો સાથ છોડી દીધો છે, અત્રે નોંધનીય છે કે વર્તમાન સમયમાં એજયુકશનના બોજ, સોશ્યલ મિડીયાના વાયરા વચ્ચે વાલીઓએ વધુ સાવધાની રાખવાની જરૂરીયાત છે અને બાળકો સાથે મિત્ર તરીકે વ્યવહાર કરવામાં આવે તે વધુ હિતાવહ છે.
જામનગરમાં મહાવીર નગર વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની એક તરુણીને ઘરકામ બાબતે પોતાની માતાએ આપેલો ઠપકો સહન નહીં થતાં માઠું લાગી આવવાથી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.
જામનગરમાં હર્ષદમિલની ચાલી નજીક મહાવીર નગર વિસ્તારમાં રહેતી જાનવીબેન શરદભાઈ મકવાણા નામની ૧૫ વર્ષની તરુણીએ ગઈકાલે પોતાના ઘેર પંખાના હુકમાં સાડી બાંધી ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી, જે બનાવને લઈને પરિવારમાં સોંપો પડી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના પિતા શરદભાઈ દેવજીભાઈ મકવાણાએ પોલીસની જાણ કરતાં સિટી એ. ડિવિઝનના એ.એસ.આઇ. એચ. આર. બાબરીયા બનાવના સ્થળે દોડી ગયા હતા, અને મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર બનાવ બાબતે વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસની પૂછપરછ દરમિયાન મૃતક તરુણિને તેણીની માતાએ ઘરકામ બાબતે ઠપકો આપ્યો હતો, જે સહન નહીં થતાં મનમાં લાગી આવ્યું હતું, અને આપઘાતનું પગલું ભરી લઇ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી.