જામનગરથી વાડીનાર દારગાહે દર્શન કરવા ગયેલી ત્રણ મહિલા અને રીક્ષા ચાલક સહિત ચારને ગંભીર ઈજા: જીજી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયા
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર મોટી ખાવડી નજીક ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. બે ભારે વાહનોની વચ્ચે એક પેસેન્જર રીક્ષા સેન્ડવિચ થઈ હતી, જે રિક્ષામાં બેસીને જામનગર થી વાડીનાર દરગાહે દર્શન કરવા માટે ગયેલી ત્રણ મહિલાઓ અને રિક્ષાચાલક સહિત ચાર વ્યક્તિ ઘાયલ થઈ છે, અને તમામને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. પોલીસે અકસ્માત સર્જનાર વાહન ચાલક સામે ગુનો નોંધ્યો છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરના બેડી વિસ્તારમાં રહેતા રીક્ષા ચાલક હુસેનભાઇ ઇસ્માઇલભાઈ જેડા (ઉમર વર્ષ ૩૨) કે જેઓ પોતાના આજુબાજુના વિસ્તારમાં રહેતી ત્રણ મહિલાઓ જરીનાબેન, જેતુનબેન અને હુરબાઈબેન, કે જે ત્રણેયને વાડીનાર દરગાહે દર્શન કરવા જવું હોવાથી ત્રણેયને રિક્ષામાં બેસાડીને વાડીનાર ગયા હતા, અને ત્યારથી જામનગર પરત ફરી રહ્યા હતા.
તે દરમિયાન મોટી ખાવડી પાસે રીક્ષા ની પાછળ આવી રહેલા કોઈ અજાણ્યા ભારે વાહન ના ચાલકે રિક્ષા ને જોરદાર ટક્કર મારી દીધી હતી, જે અકસ્માતમાં રીક્ષા આગળ જઈ રહેલા એક ટેન્કરમાં ઘૂસી ગઈ હતી, અને રીક્ષા બન્ને વાહનની વચ્ચે સેન્ડવીચ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં રીક્ષા ચાલક હુસેનભાઇ તેમજ પાછળ બેઠેલી ત્રણેય મહિલાઓને નાની મોટી અનેક ઇજાઓ થઈ હતી, અને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સમાં તમામ ને સારવાર માટે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામ ની સારવાર ચાલી રહી છે, જેમાં હુસેનભાઇ જેડા ની હાલત અત્યંત નાજુક ગણાવાઇ રહી છે.
આ અકસ્માતના બનાવ અંગે રીક્ષાચાલકના ભાઈ અકરમ ઈસ્માઈલભાઈ જેડાની ફરિયાદના આધારે મેઘપર પોલીસે રિક્ષા અને પાછળથી ઠોકર મારનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોધ્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.