જામનગરમાં નો ટોબેકો ડે નિમિત્તે કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વ્યસનમુક્તિ માટે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન
કચરો એકત્ર કરતી ૨૧૬ કચરા ગાડીઓમાં વ્યસનમુક્તિનું ગીત વગાડીને લોકોને જાગૃત કરાશે
જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આગામી તા.૩૧ મેના નો ટોબેકો ડે નિમિત્તે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આ વર્ષે વ્યસનમુક્તિ અંગે એક નવીન પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.
આ અંતર્ગત જામનગર મહાનગરપાલિકાની શહેરમાં કચરો એકત્ર કરતી કુલ ૨૧૬ વેસ્ટ કલેક્શન ગાડીઓમાં બે દિવસ સુધી વ્યસનમુક્તિ અંગેનું ગીત વગાડવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય હેતુ જાહેર જનતામાં તમાકુ, માવો, મસાલા અને સિગારેટ જેવા વ્યસનોથી દૂર રહેવા અંગે જાગૃતિ લાવવાનો છે.
આ ઉપરાંત વ્યસન છોડવા ઇચ્છુક લોકો માટે જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલ ખાતે સાત માળના બિલ્ડિંગના પ્રથમ માળે વ્યસનમુક્તિ કેન્દ્ર કાર્યરત છે. અહીં ડો. યશ પરમાર સવારે ૯ થી ૧ તથા સાંજે ૪ થી ૬ દરમિયાન સેવા આપે છે. વ્યસનમુક્તિ ઇચ્છુક લોકોએ આ કેન્દ્રનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
જામનગર કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ ડો. કલ્પનાબેન ખંઢેરીયાએ ફેક્ટરી, હોટલ, બેંક તેમજ વિવિધ ઓફિસોના સંચાલકોને આ વ્યસનમુક્તિ ગીત પોતાના સ્ટાફના વોટ્સએપ ગ્રુપમાં શેર કરી કર્મચારીઓને તમાકુ છોડવા પ્રોત્સાહિત કરવા તેમજ વ્યસનમુક્તિ કેન્દ્રની માહિતી પહોંચાડવા અપીલ કરી છે.
પ્રોજેક્ટ ડિરેક્ટર અમરજીતસિંહ અહલુવાલિયાએ જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં શેરી નાટકો તથા વ્યસનમુક્તિ અંગેનું ગીત અને તેની યુ-ટ્યુબ લિંક દ્વારા પણ જનજાગૃતિ ફેલાવવામાં આવશે. તેમજ તા.૩૧ મેના રોજ રાત્રે ૮ થી ૧૦ દરમિયાન લાખોટા તળાવ ગેટ નં.૧ પાસે જામનગર મહાનગરપાલિકાના સહયોગથી વ્યસનમુક્તિ આધારિત નાટકોનું પ્રદર્શન યોજાશે. કાર્યક્રમનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ (સી.આઈ.એસ.એફ.) ના જવાનો તથા તેમના પરિવારજનો માટે તમાકુનો ત્યાગ સ્વસ્થ સમાજનું નિર્માણ વિષય પર આયુર્વેદ સંસ્થાન દ્વારા કાઉન્સેલિંગ તથા નાટ્ય પ્રસ્તુતિઓનું આયોજન પણ કરવામાં આવશે.