દેવભૂમિ દ્વારકા: ૧૨ વર્ષ વિશ્વાસના,વિકાસના, જનકલ્યાણના: ખંભાળિયા નગરપાલિકા કક્ષાની જનકલ્યાણ શિબિરનો પ્રારંભ કરાવતા પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયા
પ્રભારી મંત્રી સહિતના મહાનુભવોએ વિવિધ વિભાગોના સ્ટોલની મુલાકાત લઈ લાભાર્થીઓને લાભાન્વિત કર્યા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ નગરપાલિકાઓમાં ‘જનકલ્યાણ શિબિર’ યોજવામાં આવી રહી છે, જે ઉપક્રમે આજરોજ રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગના મંત્રી તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ ખંભાળિયા નગરપાલિકા કક્ષાની ‘જનકલ્યાણ શિબિર’નો ટાઉનહોલ ખંભાળિયા ખાતે પ્રારંભ કરાવ્યો હતો.
નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની લોકાભિમુખ યોજનાઓની માહિતી મેળવવા તેમજ અરજી કરવા માટે અને અન્ય સરકારી સેવાઓ માટે વિવિધ વિભાગો જેવા કે, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પી.જી.વી.સી.એલ, સુગમ ડિજિટલ પોર્ટલ, ખેતીવાડી, મહિલા અને બાળ વિકાસ, ગુજરાત માર્ગ વાહનવ્યવહાર નિગમ સહિતના સ્ટોલ તૈયાર કરવામાં આવ્યાં હતાં. પ્રભારીમંત્રીએ સ્ટોલની મુલાકાત લઈ વિવિધ સેવાઓની વ્યવસ્થાનું નિરીક્ષણ કરી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે રાજ્યસભા સાંસદ જીતેન્દ્રભાઈ કણજારિયા, ધારાસભ્ય મુળુભાઇ બેરા, કલેકટર રાજેશ તન્ના, નિવાસી અધિક કલેકટર એમ.બી.દેસાઈ, નગરપાલિકા પ્રમુખ વિજયભાઈ કણઝારીયા, અગ્રણી મયુરભાઈ ગઢવી, પુનિતભાઈ શર્મા, પ્રતાપભાઇ પિંડારિયા, પરબતભાઇ ભાદરકા, યુવરાજસિંહ વાઢેર, રાજુભાઈ સરસિયા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ જોડાયા હતા.