જામનગર: રંગમતી નાગમતી નદીમાંથી તાત્કાલિક કચરો અને કાંપ દુર કરવા કોર્પોરેટરની માંગ
વોર્ડ નં.૩ના કોર્પોરેટર કૃષ્ણાબા જયેન્દ્રસિંહ ઝાલાએ મ્યુ.કમિશનરને લખેલો પત્ર
જામનગર શહેરમાં ચોમાસુ આવી રહ્યું છે તે પહેલા રંગમતી નાગમતી નદીમાંથી તાત્કાલિક અસરથી કાંપ અને કચરો કાઢવા માટે શાસકપક્ષના વોર્ડ નં.૩ના કોર્પોરેટર કૃષ્ણાબા ઝાલાએ મ્યુ.કમિશનરને પત્ર લખ્યો છે.
આ પત્રમાં જણાવાયું છે કે રંગમતી નાગમતી નદીમાં ઉપરવાસ વરસાદ પડવાના કારણે નદીમાં પુર આવે છે જેના કારણે નીચાણવાળા વિસ્તારો વોર્ડ નં. ૧, ૨, ૩, ૪, ૧૦, ૧૧, ૧૨ અને ૧૬માં પાણીનો ભરાવો થાય છે જેના લીધે લોકો હેરાન પરેશાન થાય છે એટલુ જ નહિ લોકોના જાનમાલને મોટા પ્રમાણમાં નુકશાન થાય છે દર વખતે પ્રીમોન્સુન કામગીરી અંતર્ગત સાફસફાઇ કરવામાં આવેે છે. ગયા વખતે પ્રીમોન્સુન કામગીરી અંતર્ગત રંગમતી અને નાગમતી નદીની સફાઇ કરવામાં આવી ન હતી તેથી નદીમાં ગાંડા બાવળ ઉગી ગયા છે અને કચરો પણ વધી ગયો છે તેથી રંગમતી નાગમતી ઉંડી ઉતારી કાંપ કાઢવામાં આવે કચરો કાઢવામાં આવે તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાનો પ્રશ્ર્ન ન રહે અને લોકોને રાહત થાય, અગાઉ વડોદરાની વિશ્ર્વામિત્રી નદીમાંથી ૧૦૦ દિવસમાં ૩૧૦૦૦ કચરો અને કાંપ કાઢવા નિર્ણય કરવામાં આવ્યો છે, જામનગરમાં રંગમતી નાગમતી નદીમાં તાત્કાલિક ધોરણે એકશન પ્લાન ઘડીને કચરો કાઢવામાં આવે, તેવી માંગણી કોર્પોરેટરે કરી છે.