જામનગરથી ભોળેશ્વર જતા પદયાત્રીઓ માટે સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ ગ્રુપ દ્વારા આ વર્ષે પણ અનોખો મહા સેવાયજ્ઞ શરૂ
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારને લઈને જામનગરથી ભોળેશ્વર મહાદેવના દર્શન માટે પદયાત્રીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જામનગરથી આશરે 30 કિલોમીટર દૂર આવેલા ભોળેશ્વર મહાદેવના દર્શન માટે મોડી સાંજ થી મોટી સંખ્યામાં ભક્તો પગપાળા નીકળી પડ્યા છે.
‘હર હર મહાદેવ’ના જયઘોષ સાથે પદયાત્રીઓ ભોળેશ્વર તરફ આગળ વધી રહ્યા છે. રસ્તામાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ પદયાત્રીઓની સેવા માટે વિવિધ સેવાકેમ્પો પણ ધમધમી રહ્યા છે.
જામનગરના સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ ગ્રુપ દ્વારા પદયાત્રીઓની સેવા માટે ભવ્ય સેવાકેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ગ્રુપના ડાયરેક્ટર ભાવેશભાઈ ગાગીયા પણ સેવાકેમ્પમાં ઉપસ્થિત રહી પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે.આ સેવાકેમ્પમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ લાભ લઈ રહ્યા છે. પદયાત્રીઓ માટે ફરાળી વાનગીઓ, ભોજન પ્રસાદી, ફળ, ચા-પાણી તેમજ ઠંડા પીણાં સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાવેશભાઈ ગાગિયા દ્વારા હાથ ધરાયેલા આ શુભ કાર્યમાં જામનગરના જાણીતા યુવા બિલ્ડર મહેશભાઈ નંદાણીયા તેમજ ઉદ્યોગપતિ રાજુભાઈ ગાગીયા તથા કાનાભાઈ ( કેબીસી ) અને રાજનભાઈ ચોચા સહિતના અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સેવા યજ્ઞમાં સાથે જોડાયા હતા.
સેવાકેમ્પમાં આવતા પદયાત્રીઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ડીજેના નાદ સાથે ભક્તો ગરબે ઘૂમતા અને ભોળેનાથની ભક્તિમાં લીન થતા જોવા મળી રહ્યા છે.સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ ગ્રુપ દ્વારા છેલ્લા છ વર્ષથી સતત આ સેવાકેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પદયાત્રીઓની સેવા દ્વારા શ્રાવણ માસમાં ભક્તિ સાથે માનવસેવાનો સુંદર સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે.
શ્રદ્ધા, ભક્તિ અને સેવાભાવના આ અનોખા સંગમ વચ્ચે જામનગરથી ભોળેશ્વર તરફ નીકળેલી પદયાત્રા સમગ્ર વાતાવરણને ‘હર હર મહાદેવ’ના નાદથી ભક્તિમય બનાવી રહી છે.