દ્વારકાધીશ મંદિરના દ્વાર તરફ ગટરના ગંદા પાણીથી ભાવિકોમાં ભારે રોષ
વહીવટી તંત્ર તેમજ નગરપાલિકાના અધિકારીઓ દ્વારા આ બાબતને સતત કરાઇ રહ્યું નજરઅંદાજ
યાત્રાધામ દ્વારકામાં હાલમાં ચાલી રહેલ પવિત્ર પુરૂષોત્તમ મારા દરમ્યાન દેશ-વિદેશથી લાખો શ્રધ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શનાર્થે તેમજ પવિત્ર ગોમતી સ્નાન માટે આવી રહ્યા છે. આવા પાવન માસમાં જ જગતમંદિરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન છપ્પન સીડી વિસ્તારમાં ગટર ઉભરાવવાની સમસ્યાથી ગટરના પાણી પવિત્ર ગોમતી નદીમાં વહી જતાં સ્થાનીકો તેમજ પ્રવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.
દ્વારકાધીશ જગતમંદિરના પ્રમુખ પ્રવેશદ્વાર સ્વર્ગદ્વારને જોડતી છપ્પન સીડી વિસ્તારના ધાર્મિક મહત્વ ધરાવતા મહાપ્રભુજીની બેઠકજી, હરિકુંડ, સુદામા સેતુ વિસ્તારમાં વારંવાર ગટરના ગંદા પાણી ઉભરાઈને દર્શનાર્થીઓના પગપાળા માર્ગ અને ગોમતી નદીમાં વહી જતું હોય દર્શને જતાં ભાવિકોને ગંદાપાણીમાંથી પગપાળા જવું પડે છે. જેના કારણે શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. આ ગટરનું દુર્ગંધયુકત પાણી સીધુ પવિત્ર ગોમતી નદીમાં ભળતું હોય જેમાં હજારો શ્રધ્ધાળુઓ આચમન અને સ્નાન કરે છે તેના પવિત્ર જળમાં ગટરના પાણી ભળતા નદી પણ પ્રદુષિત થઈ રહી છે.
સ્થાનીય લોકો અને યાત્રીકોના જણાવ્યાનુસાર આ વિસ્તારમાં અવારનવાર ગટર ઉભરાવવાની સમસ્યા સર્જાય છે. વહીવટીતંત્ર અને સ્થાનીય નગરપાલીકા દ્વારા આ બાબતે સતત નજરઅંદાજ કરાતી હોય તેમ અવારનવાર આવી ઘટનાઓ બની છે. દ્વારકા શહેરના ભદ્રકાળી ચોક, હોમગાર્ડઝ ચોક, જોધાભા માણેક સહિતના અનેક વિસ્તારોમાં પણ અવાર નવાર ગટરના ગંદા પાણી રોડ રસ્તા પર ફરી વળવાની સમસ્યા જોવા મળી છે. પાલીકા તંત્રની ધોર બેદરકારી અને આયોજનના અભાવને કારણે યાત્રાધામની છબી પણ ખરડાઈ રહી છે. ગટરના ગંદા પાણીને લીધે રોગચાળો ફેલાવાનો ભય હોય જાહેર આરોગ્ય સામે પણ ગંભીર ખતરારૂપ છે.
પવિત્ર પુષોત્તમ માસ અને ઉનાળુ વેકેશનના સમયમાં દરરોજ હજારો ભાવિકો દ્વારકા દર્શનાર્થે યાત્રીકોની સુવિધા જળવાય અને આસ્થા કાયમ રહે તે માટે પાલીકા તંત્ર અને વહીવટી તંત્ર તાત્કાલીક ઘોર નિદ્રામાંથી જાગી ગટરના ગંદા પાણીની સમસ્યાનો કાયમી અને યોગ્ય ઉકેલ લાવે તેવી ઉગ્ર માંગ ઉઠવા પામી છે.